રાજકોટમાં પ્રેમાલાપ કરતા પ્રેમીને પ્રેમીકાના પિતાએ છરીના ઘા ઝીંકી રહેસી નાખ્યો
ઉપલેટાથી મળવા આવેલો પરિણીત પ્રેમી પરિણીતા સાથે હોલમાં હતો ત્યારે આવી ચડેલા ઙૠટઈકના નિવૃત્ત કર્મીએ ખેલ્યો ખૂનીખેલ
રંગીલું રાજકોટ રક્તરંજીત બન્યું હોય તેમ ક્રાઇમના ગ્રાફમાં ઉછાળો આવી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં રેલનગર વિસ્તારમાં બે સંતાનની માતાને ઉપલેટાના ઇસરા ગામેથી મળવા આવેલા પરિણીત પ્રેમીને મહિલાના પિતાએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપી પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ધરપકડ કરી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલા રેલનગરના દર્શનવિલામાં રહેતી કિરણ જિતેન્દ્ર ચૌહાણ ગઈ કાલે બપોરે તેના ઘરે હતી ત્યારે ઉપલેટાના ઇસરા ગામે રહેતો તેનો પ્રેમી આસિફ ઇકબાલ સોરા (ઉ.વ.30) તેને મળવા આવ્યો હતો. બપોરના ચાર વાગ્યના અરસામાં કિરણ અને આસિફ ઘરના હોલમાં બેઠા હતા ત્યારે અચાનક જ કિરણના પિતા રાજેન્દ્ર રાઠોડ (ઉ.વ.65) ધસી આવ્યા હતા. રાજેન્દ્ર રાઠોડ અને આસિફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા રાજેન્દ્ર રાઠોડે પુત્રીના પ્રેમી આસિફને સાથળના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. છરીના ઘા ઝીંકાતા આસિફ લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો.
પ્રેમિકા કિરણ ચૌહાણ જ તેને સિવિલ હોસ્પિટલે લઇ ગઇ હતી અને ટૂંકી સારવાર દરમિયાન આસિફનું મોત નીપજ્યું હતું. હત્યાની ઘટના પ્રકાશમાં આવતા ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળેથી જ આરોપી રાજેન્દ્ર રાઠોડને ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કિરણ બે સંતાનની માતા છે અને તેના પ્રેમી આસિફને પણ બે સંતાન છે. પોલીસે રાજેન્દ્ર રાઠોડની ધરપકડ કરી વિશેષ પૂછપરછ શરૂૂ કરી હતી. આસિફ સોરા અને તેની પ્રેમિકા કિરણ ચૌહાણના સંબંધો મુદ્દે અગાઉ અનેક વખત માથાકૂટ થઇ હતી.
મંગળવારે સાંજે આસિફે ઉપલેટા રહેતા તેના મિત્રો સાથે વાતચીત કરી હતી કે, બુધવારે પ્રેમિકા કિરણને તેના ઘરે મળવા જશે.
મિત્રોએ વાત સાંભળી આસિફને રાજકોટ નહીં જવા સમજાવ્યો હતો, પરંતુ આસિફ બુધવારે કિરણને મળ્યો હતો અને ઘરમાં હતો ત્યાં જ કિરણના પિતા ધસી આવ્યા હતા અને છરીના ઘા ઝીંકી આસિફને પતાવી દીધો હતો.
રાજેન્દ્રભાઇની પુત્રી કિરણના લગ્ન ઉપલેટાના જિતેન્દ્ર ચૌહાણ સાથે થયા હતા અને કિરણને લગ્ન જીવનમાં બે સંતાનની પ્રાપ્તિ થઇ હતી. કિરણનો ઇસરા ગામના વતની અને વાયર બનાવતી કંપનીમાં નોકરી કરતાં આસિફ સોરા સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. કિરણ અને આસિફના પ્રેમસંબંધની તેના પતિ અને પિતા સહિતના પરિવારજનોને જાણ થઇ હતી અનેક વખત સમજાવવા છતાં કિરણ અને આસિફના સંબંધનો અંત નહીં આવતા અંતે જિતેન્દ્ર પોતાની પત્ની અને સંતાનો સાથે ઉપલેટા છોડી રાજકોટ રાજેન્દ્રભાઇના ઘરે રહેવા આવી ગયો હતો. જિતેન્દ્ર ચૌહાણ બુધવારે રિક્ષા લઇને બહાર ગયો હતો ત્યારે કિરણનો પ્રેમી ઘરમાં ઘુસ્યો હતો અને મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. પ્રેમીયુગલ ઘરના હોલમાં હતું ત્યારે મહિલાના પિતા નિવૃત્ત વીજકર્મીએ કાસળ કાઢી નાખ્યું હતું.