200 મુસાફરો સાથે ઘોઘા-હજીરા રો પેક્સ ફેરી અટવાઇ
રો પેક્સ ફેરી સર્વિસમાં ટેક્નિકલ ખામી સર્જાતા દરિયામાં શિપ અટવાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
ભાવનગરમાં ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ અટવાઈ જવાની ઘટના સામે આવી છે. ઘોઘાથી હજીરા જતી રો પેક્સ ફેરી સર્વિસમાં ટેકનીકલ ખામી આવતા અધવચ્ચે દરિયામાં શિપ અટવાતા મુસાફરોમાં ભય જોવા મળ્યો. ગુજરાતમાં અત્યારે ચોમાસાનો માહોલ જામ્યો છે અને ડાંગ જેવા તળેટીય વિસ્તાર તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે.
ભાવનગરમાં પણ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ બાદ આજે સવારથી ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. ત્યારે આવી સ્થિતિમાં દરિયામાં રો પેક્સ ફેરી સર્વિસ અટવાતા મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ઘોઘા રો પેક્સ ફેરી સર્વિસ ફરી એક વખત આવી મુશ્કેલીમાં આવી. ગતરોજ ઘોઘાથી હજીરા તરફ જતા સાંજ ના 5 વાગ્યા ના સમયે ઘોઘાથી હજીરા જવા નીકળેલ રો પેક્સ ફેરી સર્વિસ દરિયામાં ફસાઈ ગઈ.
ઘોઘા જેટી થી 200 મીટર ના અંતરે રો પેક્સ ફેરી સર્વિસનું શિપ ચેનલની બહાર નીકળી જતા શિપ દરિયામાં ફસાયું. દરિયામાં ઉછળતા મોજાં અને બીજી બાજુ વરસાદના ઓછાયાના કારણે જહાજ અધવચ્ચે ફસાતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો. 5 કલાક કરતા વધુ સમયથી આ રો રો ફેરી સર્વિસ દરિયામાં અધવચ્ચે રહેતા મુસાફરોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે દરિયામાં પાણીનો પ્રવાહ વધતા જહાજને જેટી ખાતે પરત લાવવા તજવીજ હાથ ધરાઈ. રો પેક્સ ફેરી સર્વિસ માં 200થી વધુ મુસાફરો અટવાયા. જણાવી દઈએ કે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલા દ્વારા ઘોઘા-હજીરા વચ્ચેની રો-પેક્સ ફેરી સર્વિસનું મોનિટરિંગ કરવામાં આવે છે. વર્ષ 2020માં12મી નવેમ્બર 2020ના રોજ ભાવનગર શહેરના ઘોઘા ગામે આવેલા સમુદ્ર તટેથી દક્ષિણ ગુજરાતના સુરત સ્થિત બંદરગાહ હજીરાને જોડતી ફેરી સેવા શરૂૂ કરવામાં આવી હતી.
રો પેક્સ ફેરી સર્વિસના કારણે મુસાફરીનું અંતર ઘટતા આ વિસ્તારના લોકો માટે આ સુવિધા ગેમજચેન્જર સાબિત થઈ. કારણ કે તેના કારણે માત્ર સડક માર્ગનું જ નહીં પરંતુ સામાજીક અંતર ઘટતા લોકોના કામો સરળ બન્યા.