મોત સુધી મિત્રતા: બાઇક અકસ્માતમાં મિત્રનું મોત નીપજતા યુવાને વિયોગમાં કર્યો આપઘાત
જેતપુરના પાંચ પીપળાથી લુણાગરી ગામે જતા બંને યુવકનું બાઇક સ્લિપ થતા કેરાળીના આધેડનું મોત નીપજતા શ્રમિક યુવાને વાડીએ જઇ ફાંસો ખાઇ જીવ દીધો
જેતપુરના કેરાળી ગામે રહેતા બે મિત્રો બાઈક લઈને પાંચ પીપળાથી લુણાગરી ગામે જતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં મિત્રનું મોત નીપજતા શ્રમિક યુવકે મિત્રના મૃત્યુના આઘાતમાં કેરાળી ગામે વાડીએ જઇ પીપળાના ઝાડમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આધેડ અને યુવકના મોતથી બંને પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ ઘટના અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી મુજબ ગઇકાલે વહેલી સવારે સાત વાગ્યા આસપાસ જેતપુર તાલુકાના પાંચપીપળાથી કેરાળી ગામ જવાના રસ્તે એક બાઈક ચાલકનો રોડની સાઈડમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ ત્યાંથી પસાર થતા વાહનચાલકને થતા પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ પોલીસ અને પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. આ દરમિયાન બાઇકચાલક મૃતક પ્રભાત છગનભાઈ ઝાલાના મૃતદેહ પાસેથી અકસ્માત થયેલું બાઈક પણ મળી આવ્યું હતું. જેથી પરિવારજનોએ તેમની સાથે તેના મિત્ર રાયલાભાઇ ઉર્ફ રવજીભાઈ તેરસિંહ કલેશ (આદિવાસી) હોવાનું જણાવ્યું હતું, જે મામલે પોલીસે તપાસ કરતા અકસ્માતગ્રસ્ત બાઈક પાસેથી બે જોડી ચપ્પલ પણ મળી આવેલ હતા.
જેથી પોલીસે વધુ તપાસ આદરી હતી, એ દરમિયાન જે મિત્ર છે તે વાડી ખાતે મજૂરી અર્થે આવેલ હતો તે જ વાડી ખાતે પીપળાના ઝાડ પર ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી. જેથી પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા ઘટના સ્થળે ડીવાયએસપી તેમજ એસ.પી પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોમાં અનેક તર્ક વિતકી સર્જાઈ હતી. પોલીસે બંનેના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રભાતભાઈ ઝાલા કેરાળી ગામના વતની છે અને મૃતક રવજી રાઠવા મધ્યપ્રદેશનો વતની છે અને કેરાળી ગામે ખેત મજૂરી કરે છે બંને મિત્રો પાંચ પીપળા ગામથી લુણાગરી ગામે બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં પ્રભાતભાઈ ઝાલાનુ મોત નિપજતા મિત્રના મૃત્યુના વિયોગમાં શ્રમિક યુવાન રવજી રાઠવાએ કેરાળી ગામે વાડીએ લઈ પીપળાના ઝાડમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. અને મૃતક રવજી રાઠવા એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની ઘટના અંગે જેતપુર પોલીસે અને આપઘાતના બનાવ અંગે વીરપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બંને મિત્રો બાઈક પર આવતા હોય એ દરમિયાન આ અકસ્માત સર્જયો હોવાથી મિત્રએ વાડી ખાતે આવી આત્મહત્યા કરી હોય તેવું તારણ નીકળ્યું હતું.હાલ પીએમ રિપોર્ટ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે. પોલીસે તપાસ શરૂૂ કરી હતી.