ગાંધી મ્યુઝિયમમાં 15 ઓગસ્ટે 12 વર્ષથી નાના બાળકોને મફત પ્રવેશ
વધુને વધુ બાળકોને લાભ લેવા કોર્પોરેશનની અપીલ
નાના બાળકો ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુથી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ માટે રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં નિર્ણય કરવામાં આવેલ જેના અનુસંધાને તા.15/08/2025 સ્વાતંત્ર્ય પર્વના દિવસે 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે, તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
આ મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને એલ.ઇ.ડી. સ્ક્રીન મારફત દર્શાવામાં આવ્યા છે.
મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મ્યુઝિયમ ઉપરાંત વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે જેમાં, ટિકિટ વિન્ડો, ક્લોકરૂૂમ, મુલાકાત માટે ગાઇડની સુવિધા, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, ગાર્ડન, લાઇબ્રેરી, વી.આઇ.પી. લોંજ. કોન્ફરન્સ રૂૂમ, સોવિનીયર શોપ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધા છે. દરરોજ રાત્રે 7 વાગ્યે ગાંધીજીના જીવનના આદર્શો દર્શાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરાય છે.
રાજકોટ શહેરના 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન પરથી પ્રેરણા અને આદર્શ મેળવે તે માટે તા.15/08/2025ના રોજ વધુને વધુ બાળકો આ નિ:શુલ્ક સેવાનો લાભ મેળવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.