લોકસભાની ચૂંટણી પહેલા માંડવિયા-રૂપાલા સહિત ચાર સભ્યોની મુદત પૂરી
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો ઉપર આવનારી ચૂંટણી પહેલા રાજયસભાની 4 બેઠકોની ફેબ્રુઆરી અંત અથવા માર્ચમાં ચૂંટણી આવે તેવા સંજોગો છે. લોકસભાની ચૂંટણી પૂરી થાય તે પુર્વે બીજી એપ્રિલે રાજ્યસભાના 4 સભ્યો નિવૃત થવાના છે.
મળતી માહિતી મુજબ, આ વખતે ભાજપના રાજયસભાના સભ્ય બે કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂૂપાલા અને મનસુખ માંડવિયા તથા કોંગ્રેસના બે સભ્યો અમીબેન યાજ્ઞીક અને નારણભાઇ રાઠવાની મુદત પૂરી થઇ રહી છે. રૂૂપાલાની રાજયસભામાં ત્રીજી અને માંડવિયાની બીજી ટર્મ છે. ભાજપ બન્ને મંત્રીઓને લોકસભાની ચૂંટણી લડાવે તેવી શકયતા સેવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજયમાં 182 પૈકી 156 ધારાસભા બેઠકો ભાજપ પાસે છે. તેથી ચારેય બેઠકો ભાજપને બિનહરીફ મળવાનો માર્ગ મોકળો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયસભાના અન્ય 4 સભ્યો નરહરિ અમીન, રામભાઇ મોકરિયા અને રમીલાબેન બારા (ત્રણેય ભાજપ) તથા કોંગ્રેસના શકિતસિંહ ગોહિલનો રાજયસભાના સભ્ય તરીકેનો કાર્યકાળ જુન 2026 માં પૂરો થશે. ધારાસભ્યોનું હાલનું સંખ્યાબાળ જોતા જુન 2026 પછી તમામ 11 બેઠકો પર ભાજપના જ સભ્યો રહે તેવું ચિત્ર છે.