વકીલ હારૂન પાલેજા હત્યા કેસમાં ‘સીટ’ની રચના
- સાત દિવસ બાદ પણ કુખ્યાત આરોપીઓ ઝડપાયા નથી
જામનગરના ગત બુધવારની સમી સાંજે ધારાશાસ્ત્રીની સરાજાહેર કરપીણ હત્યા થતા હાહાકાર મચી ગયો હતો. જામનગરના બેડી વિસ્તારમાંથી બાઇક પર પસાર થઈ રહેલા જામનગર કોંગ્રેસના સિનિયર અગ્રણી વાઘેર, વાઘેર, મુસ્લિમ સમાજના પ્રમુખ તથા એડવોકેટ હારુન પલેજા પર બેડી વિસ્તારમાં હુમલો કરાયા બાદ હારુનભાઈએ દમ તોડતા સમગ્ર બનાવ હત્યામા પલટાયો હતો. જે મામલે માથાભારે સાયચા ગેંગના 15 કુખ્યાત આરોપી સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. બીજી તરફ આ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે જેમાં જામનગર પોલીસ દ્વારા સીટની રચના કરવામાં આવી છે. તો આરોપીઓમાંથી મોટાભાગના આરોપીઓનું પગેરું દબાવવામાં જામનગર પોલીસને સફળતા મળી હોવાનું પણ સુત્રોમાથી જાણવા મળી રહ્યું છે.
વકીલ હારુનભાઈ બેડેશ્વર વિસ્તારમાં આવેલ વાછાણી ઓઇલ મિલ નજીકથી પસાર થઈ તે રોઝુ ખોલવા જઇ રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ પથ્થરમારો કરતા હારુન પલેજાને ગંભીર ઇજા થવા પામી હતી અને તેઓને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા હારુન પલેજા હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેંચતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ પ્રકરણમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી બસીર જુસબ સાઈચા, ઇમરાન નૂરમામદ સાઇચા, રમજાન સલીમ સાઇચા, સિકંદર નૂરમામદ સાઇચા, રિઝવાન ઉર્ફે ભૂરો અસગર સાઇચા, જાબીર મહેબૂબ સાઇચા, દિલાવર હુસેન કકલ, સુલેમાન હુસેન કકલ, ગુલામ જુસબ સાઈચા, એજાઝ ઉંમર સાઇચા, અસગર જુસબ સાઈચા, મહેબૂબ જુસબ સાઈચા, રજાક ઉર્ફે સોપારી, ઉંમર ઓસમાણ ચમડિયા, સબીર ઓસમાણ ચમડિયાની સામે ગુન્હો નોંધાયો છે.
આ અંગે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ)ની જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા રચના કરવામાં આવી છે. જેમાં ઈઈંઝઢ ઉઢજઙ જયવીરસિંહ ઝાલા (સુપરવિઝન), ઈઈંઝઢ અ ઙઈં નિકુંજ ચાવડા (તપાસનીશ અધિકારી) કઈઇ ઙજઈં આર.કે.કરમટા ઠજ સહિત 6 થી 7 પોલીસ કર્મીઓની નિમણૂંક કરાઈ છે. જે તપાસ હાથ ધરી રિપોર્ટ તૈયાર કરશે અને રિપોર્ટ ઉચ્ચકક્ષાએ મોકલવામાં આવશે. બીજી બાજુ આરોપીઓની પોલીસ તપાસ ચાલી રહી છે. આરોપીઓને શોધવા પોલીસ કવાયત કરી રહી છે તેવામાં મોટાભાગના આરોપીઓના પગેરું દબાવવામાં પોલીસને સફળતા મળી છે. શકમંદ પોલીસની રડારમાં હોય જેની પૂછપરછ બાદ વધુ ધડાકાભડાકા થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.