રાજકોટ જેલના સિનિયર કલાર્કના મકાનમાં ત્રણ મહિનામાં બીજી વખત તસ્કરો ત્રાટકયા
પરિવાર સાસણગીર ફરવા ગયો હતો: બીજા દિવસે ઘરે આવ્યા ત્યારે તાળા તૂટેલા અને સામાન વેરવિખેર હતો 49 હજારની ચોરી
150 ફૂટ રિંગ રોડ નાણાવટી ચોક પાસેની નેમિનાથ સોસાયટીમાં રહેતા અને રાજકોટ સેન્ટ્રલ જેલના સિનિયર ક્લાર્કના મકાનમાં વધુ એક વખત તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.તસ્કરોએ રોકડ અને દાગીના સહિત રૂૂ.49 હજારની મતા ચોરી ગયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ છે.આ મામલે સીસીટીવી ફૂટેજ ના આધારે ચોરનું પગેરું મેળવવા તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે.
વધુ વિગતો મુજબ,નાણાવટી ચોક પાસેની નેમિનાથ સોસાયટીમાં રહેતા અને રાજકોટ સેન્ટ્રલ જેલના સિનિયર ક્લાર્ક ચંદ્રકાંતભાઈ મગનભાઈ પરમાર (ઉ.વ.57)ના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂૂ.49 હજારની મતા ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદમાં ચંદ્રકાંતભાઈએ જણાવ્યું છે કે બે પુત્ર, પુત્રવધૂ, પત્ની સહિતના પરિવાર સાથે ગઇ તા.6 જુલાઈના રોજ સાસણ ગીર અને ફરવા ગયા હતા.બાદમાં બીજા દિવસે તા.7જુલાઈના રાત્રીના પરત આવીને જોયું તો અંદરનો સામાન વેરવિખેર પડયો હતો.
ઉપરના માળે તપાસ કરતાં ત્યાં પણ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. નીચેના રૂૂમના બે રૂૂમના કબાટ અને ઉપરના માળે આવેલા બે રૂૂમના કબાટ ખુલ્લા હતા અને સામાન વેરવિખેર હાલતમાં હતો. તેમજ નીચેના નવેરામાં પડતી બારીના સળિયા તૂટેલી હાલતમાં હતા જેથી આ તસ્કરો નવેરામાંથી પ્રવેશ કરી લોખંડના સળિયા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને કબાટમાં રાખેલા રોકડા 25 હજાર અને સોના ચાંદીના દાગીના મળી કુલ 49 હજારની મતા ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.આ મામલે તેઓએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ બે મહિના પૂર્વે એપ્રિલમાં આ સિનિયર ક્લાર્ક પરિવાર સાથે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે પણ તેમના મકાનમાંથી રૂૂા. 4.98 લાખની મત્તા ચોરી થઈ હતી.જો કે ચોરી કરી ભાગેલા તસ્કરને સુરત ક્રાઇમ બ્રાંચે મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.જોકે તેઓએ ચોરી થયા બાદ મકાનની બહાર સીસીટીવી કેમેરા લગાવ્યા હતા હવે ચોરી માં તસ્કરોએ સીસીટીવી કેમેરા નીચા કરી ચોરીને અંજામ આપતા હવે પોલીસ પણ આરોપીઓનું પગેરું મેળવવા તજવીજ શરૂૂ કરી છે.