સુરતમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત, હાર્ટએટેક આવ્યાની આશંકા
હાલમાં ગુજરાતમાં હાર્ટ એટેકથી નાની વયે મોતના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં જુદા જુદા જુદા બનાવમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત થયા છે. પાંડેસરા, હજીરા અને પુણા વિસ્તારમાં પાંચ વ્યક્તિઓ અચાનક જ ઢળી પડ્યાના સમાચાર મળ્યા છે. જે લોકોના મોત થયા છે તે તમામની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોના મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની મોતનો સિલસિલો યથાવત છે. ક્ષમતા કરતા વધુ કામ કરવાથી હૃદય પર ભારણ આવતા આવા બનાવો બને છે.
પાડેસરમાં પુત્રી સાથે મસ્તી કરતા બ્રિજરાજ સિંહ ઢળી પડ્યો હતો. જ્યારે પાડેસરમાં જ જીતુ પ્રજાપતિને ગભરામણ થઈ હતી. તો હજીરામાં રહેતો સરોજ દાસ એકાએક બેભાન થઈ ગયો હતો. અને હજીરામાં રહેતો સંતોષ કૌશિક રાતે સુઈ ગયા બાદ ઉઠ્યો નહિ. જયારે પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો નીતિન દવે વોટર પાર્કમાં બેભાન થઈ ગયો હતો.
હાર્ટ એટેક અંગે જાહેર કરવામાં આવેલ સરકારી ડેટા ચેતવણી આપનારો છે. આજે ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતોના મતે, કોવિડ 19 પછી હૃદય રોગનું જોખમ અનેકગણું વધી ગયું છે. NCRB દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, માત્ર પાછલા વર્ષ 2022માં જ હાર્ટ એટેકના કેસોમાં 12.5% નો વધારો થયો છે.