ભાવનગર-ધોલેરા હાઇવે પર બે કાર અથડાતા પાંચના મોત
એક કારનો બૂકડો બોલી ગયો, બીજી ચાર પલટી ખાઇ ગઇ, એક જ પરિવારના ચાર લોકોનો ભોગ લેવાયો
ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂૂટ હાઈ-વે ફરી રક્તરંજિત બન્યો છે. હાઈ-વે પરના એકસપ્રેસ-વે પર ધોલેરા નજીક સાંઢીંડા ગામ નજીક ગઈકાલે સામ-સામે આવી રહેલી બે ફોર વ્હીલ કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત બન્ને કારમાં સવાર પાંચ મુસાફરોના કમકમાટીભર્યા મોત થયાં હતા.જ્યારે ત્રણને ઈજા પહોંચતાં સારવારાર્થે ભાવનગર ખસેડાયા હતા.અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં એક કારનો ભુક્કો બોલી ગયો હતો અને બીજી કાર ત્રણથી ચાર ગૂલાંટ મારી હાઈ-વેથી દૂર ફંગોળાઈ ગઈ હતી.
આ ગમખ્વાર અકસ્માત ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ધોલેરા-ભાવનગર હાઈ-વે પર સાંઢીડા ગામ નજીક ભાવનગર તરફથી આવી રહેલી જીજે.01.ડબલ્યુબી.1917 નંબરની ર્સ્કોપિયો કાર અને અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહેલી જીજ.04.ઈએ.7161 નંબરની કિયા સેલટોસ કાર અક્સ્માત સર્જાતાં હાઈ-વે ચીચીયાંરીઓથી ગૂંજી ઉઠયો હતો. જયારે, બન્ને કાર વચ્ચે થયેલાં ધડાકાભેર અકસ્માતમાં કારમાં સવાર અશોકભાઈ ગોબરભાઈ ડોબરીયા (ઉ.વ.50) તેમના ભાઈ ગૌરવભાઈ ગોબરભાઈ ડોબરીયા (ઉ.વ.45)તેના પુત્ર તિર્થભાઈ ગૌરવભાઈ ડોબરીયા (ઉ.વ.19)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે આ અકસ્માતમાં ગોરધનભાઈ ગોબરભાઈ ડોબરીયા (ઉ.વ.72. રહે.અમદાવાદ) તથા દિશાબેન કિરીટભાઈ પરબતાણી (ઉ.વ.40, રહે.પાલિતાણા)ને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બન્નેનું મોત થતાં એક જ પરિવારના ચાર લોકોના મોત સાથે આ અકસ્માતમાં મૃતાંક વધીને પાંચ થયો હતો.
ઉપરાંત અકસ્માતમાં ઈજા પામનાર યાનાબેન કિરિટભાઈ પરબતાણી (ઉ.વ.17) તથા નરેન્દ્રભાઈ ગોબરભાઈ ડોબરીયા (ઉ.વ.61) તથા રામજીભાઈ ભાદાભાઈ ધેડીયા (ઉ.વ.70)ને ઈજાઓ પહોંચી હતી. જેમને વધુ સારવારાર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળેલ છે. જયારે,અકસ્માતની જાણ થતાં ધોલેરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને રાહત અને બચાવ કામગીરી કરી હતી. અમદાવાદ રહેતો પરિવાર મહુવા મરણના કામે આવ્યો હતો ઈજાગ્રસ્ત નરેન્દ્રભાઈ ડોબરીયાના જણાવ્યા અનુસાર ભાવનગર જિલ્લાના મહુવાના શાંતિનગર ગામે તેમની સહિત છ લોકો મરણોત્તર કામ પતાવી અમદાવાદ પરત જઈ રહ્યાં હતા.
તેવામાં સાંઢીડા ગામ નજીક કંઈ સમજાય તે પહેલા જ સામેથી આવી રહેલી કાર સાથે ટક્કર થતાં તેમની કાર ત્રણથી ચાર ગુલાંટ મારી ગઈ હતી. બહારથી અન્ય લોકોએ દરવાજો તોડી તેમને અને અન્ય સાથી પરિવારજનોને બહાર કાઢી હોસ્પિટલમાં લાવ્યા હોવાનું જઁણાવ્યું હતું. સીએના કોચિંગની પૂછપરછ અર્થે પાલિતાણાના માતા-પુત્રી અમદાવાદ ગયા હતા અકસ્માતમાં જીવ ગુમાવનાર દિશાબેન પરબતાણીના પુત્રી યાનાબેને 10મું પાસ કરી લીધું હતું અને તેણીને આગળ સીએનો અભ્યાસ કરવાનો હોવાથી માતા-પુત્રી અમદાવાદ ખાતે કોચિંગ સેન્ટરમાં ઈન્ક્વાયરી માટે ગયા હતા. કોચિંગ ક્લાસ અંગે માહિતી મેળવી લીધાં બાદ બન્ને પાલિતાણા પરત આવી રહ્યાં હતા ત્યારે માતા-પુત્રીને અકસ્માત નડયો હતો.