પહેલાં ચકાચક રસ્તા પછી હેલ્મેટ; કોંગ્રેસને નવો મુદ્દો મળી ગયો
ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવાના બદલે હેલ્મેટના નામે ઉઘરાણાં શરૂ થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી, સોશિયલ મીડિયામાં પણ મીમ્સનું ઘોડાપુર
ગુજરાતમાં ફરી એક વખત ટુ-વ્હિલર વાહન ચાલકોની સુરક્ષા માટે હેલ્મેટ ફરજિયાત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે અને જન્માષ્ટમીના તહેવારો બાદ તા.8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરાવામાં આવનાર છે. ત્યારે સોશિયલ મીડિયામાં સરકારના નિર્ણય સામે ભારે પસ્તાળ પડી રહી છે.
હાલ ગુજરાતભરમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ શેરી-ગલીઓના રસ્તાથી માંડી નેશનલ હાઇવે સુધીના રોડ-રસ્તા ભાંગી પડયા છે. ત્યારે ‘પહેલા સારા રોડ, પછી હેલ્મેટ’ ઝુંબેશ સોશિયલ મીડિયામાં શરૂ થઇ છે. બીજી તરફ હવે કોંગ્રેસપણ આ મુદાને લઇને ઠેકી પડી છે.
ગઇકાલે જ રાજકોટ આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ હેલ્મેટ ફરજિયાત કરવા પાછળ દંડ ઉઘરાવવા નહીં પરંતુ ટુ-વ્હિલર વાહન ચાલકોની સલામતી સુનિશ્ર્ચિત કરવાનો હોવાનુ સ્પષ્ટ કર્યુ છે. પરંતુ સોશિયલ મીડિયાના ખેલાડીઓ હેલ્મેટના નિયમો અંગે કટાક્ષ સાથે અલગ અલગ મંતવ્યો રજૂ કરી રહ્યા છે.
ખાસ કરીને ભાંગી પડેલા રોડ-રસ્તાના મામલે લોકો સરકાર ઉપર નિશાન સાધી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે, હેલ્મટે નહીં પહેરવાના કારણે જેટાલ મૃત્યુ થાય છે. તેના કરતા તો અનેક ગણા વધુ અકસ્માતો અને મૃત્યુ રસ્તા પરના ખાડાઓના કારણે થાય છે. દરેક ભેજાબાજ લોકો આ અંગે પોતોપોતાનો તર્ક લગાવી સીધી કે, અડકતરી રીતે હેલ્મેટના કાયદાનો વિરોધ નોંધાવી રહ્યા છે.
ઘણા લોકોએ તો લોકોની સુરક્ષા માટેના હેલ્મેટના નિયમને પોલીસના ઉઘરાણા માટેનો નિયમ જ ગણાવ્યો છે. પોલીસ લોકોમાં જાગૃતિ લાવવા કે, સમજાવવાના બદલે હેલ્મેટ વગરના વાહન ચાલકો પાસેથી આંખો મીંચીને દંડ ઉઘરાવવાના કામમાં જ લાગી જતી હોવાના આક્ષેપો કરાયા છે.
આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા ની યાદી મુજબ રાજકોટ શહેર પોલીસ તંત્ર દ્વારા 8 સપ્ટેમ્બર થી રાજકોટ શહેર માં ટુ વ્હીલર્સ વાહન ચાલકો માટે ફરજિયાત હેલ્મેટ પહેરાવવા અંગે પોલીસ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
અગાઉ પણ પોલીસ તંત્ર દ્વારા હેલ્મેટ ના નામે લાખો નો દંડ ફટકારી વાહન ચાલકો સામે ઉઘાડી લુટ ચલાવી હતી. શહેરમાં રસ્તાઓ ટનાટન રાખવા, ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવી, પોલીસ કમિશનરના જાહેરનામાનો કડક અને ચુસ્ત અમલ કરાવવો સહિતના અનેક કાયદાઓ અમલમાં છે પરંતુ તેને તંત્ર ઘોળીને પી ગયું છે.અને ફક્ત હેલ્મેટ નો કાયદો વખતો વખત યાદ આવે અને વાહન ચાલકો સામે લૂંટ ચલાવી સરકારી તિજોરી ભરવાનું આ એક હથિયાર છે.
ટ્રાફિક માટે રાજ્ય સ્તરની કે રાજકોટ મહાનગરપાલિકા કે રાજકોટ પોલીસ તંત્રની કોઇ રણનીતિ કે પ્લાનિંગ છે નહીં. હાલ તો ટ્રાફિક પોલીસ નું તંત્ર ફક્ત કાયદેસરના અને ગેરકાયદેસરના ઉઘરાણા સિવાય કોઇ કામ થતું નથી. રાજકોટ શહેરમાં પોલીસ તંત્ર દ્વારા જો સત્તાના જોરે શાસકોના ઇશારે હેલ્મેટ કાયદાનો ફરજિયાત અમલ કરાવાશે તો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનનું રણશિંગું ફૂંકી સવિનય કાનૂનભંગ સહિતના કાર્યક્રમો અપાશે.
મેવાણીએ અખબાર યાદીની અંતમા જણાવ્યુ હતુ કે આ પરિપત્રને લઈને સમગ્ર રાજકોટવાસીઓમા ભારે આક્રોશ છે અને મારુ સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે કે સરકાર કે પોલીસ વિભાગ આ મામલે કોઈ પીછેહઠ નહીં કરે તો હું રાજકોટ આવીને લોકોને વ્હારે આવીશ અને રાજકોટમાં ચાલતા અસામાજીક પ્રવૃતિઓની પોલ છતી કરીશ.
રાજકોટમાં ગૃહમંત્રીએ યોજેલો લોકદરબાર પ્રિ-પ્લાન હતો: મેવાણી
કોંગ્રેસના ધારાસભ્ય મેવાણીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે ગઈકાલે જે રાજ્યના ગૃહમંત્રીએ રાજકોટમા લોકદરબાર યોજ્યો હતો તે પ્રિ-પ્લાન ફિક્સ લોકદરબાર હતો.લોકદરબાર એને કહેવાય કે કોઈ પણ અરજદાર ફરિયાદ કરવા જઈ શકે પરંતુ ગઈકાલે તો સાહેબને સારું લગાડવા પોલીસની વાહવાહી કરે તેવા જ અરજદારોને ધરાહાર બોલાવાયા હતા. ફોટોસેશન કરવા અને મીડિયામા સારું સારું બોલવાના આ મોટા નાટકો છેને ગૃહમંત્રી રાજ્યની કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે તે છુપાવવા ધમપછાડા કરી રહ્યા છે .ગઈકાલે આ નાટકીય લોકદરબારમા અનેક ધરાહાર બોલાવેલા અરજદારોને મુદામાલ પરત મળ્યો નથી ત્યારે તેમ છતા ગૃહમંત્રીનો આભાર ધરાહાર મનાવ્યો તેવું અમને જાણવા મળ્યું છે.જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે આવનાર થોડા સમયમા હુ અસલી લોકદરબાર કરીશ અને શું શું બે નંબર ધંધાઓ ભાજપના શાસનમા ચાલે છે તે પર્દાફાશ કરવાનો છું.