અગ્નિકાંડ : ATP ચૌધરી અને ડેપ્યુટી ફાયર ઓફિસરની ડિસ્ચાર્જ અરજી સામેની રિવિઝન ફગાવતી હાઈકોર્ટ
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફ્રેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર સાત આરોપીઓએ બિન ત્હોમત છોડવા ડિસ્ચાર્જ અરજી કરી હતી. જે સાતેય ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટ રદ કરવામાં આવતા એટીપી જયદીપ ચૌધરી અને ડેપ્યુટી ફાયર ઓફિસર રોહિત વિગોરાએ ડિસ્ચાર્જ અરજી સામે હાઇકોર્ટમાં કરેલી રિવિઝન પણ ફગાવી દેવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડયું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતના સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ચાર્જશીટ થયા બાદ સેશન્સ અદાલતમાં ગત તા.19મી ડિસેમ્બરની મુદતે ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા, જયદીપ ચૌધરી, ગૌતમ દેવશંકર જોષી, ચીફ ફાયર ઓફિસર ઠેબા, ધવલ ઠક્કર અને નીતિન લોઢાએ કેસ ચાર્જફેમ થાય તે પહેલા તહોમતમાંથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા ડિસ્ચાર્જ અરજીઓ દાખલ કરી હતી.
જે સાતેય આરોપીની ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટ દ્વારા રદ કરતો હુકમ કર્યો હતો. સેશન્સ કોર્ટના હુકમ સામે એટીપી જયદીપ ચૌધરી અને ડેપ્યુટી ફાયર ઓફિસર રોહિત વિગોરાએ હાઇકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી સામે રિવિઝન અરજી દાખલ કરી હતી. જે ડિસ્ચાર્જ અરજી સામેની અપીલ ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે અને પીડિત પરિવાર વતી રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઇ હાઇકોર્ટ દ્વારા એટીપી જયદીપ ચૌધરી અને ડેપ્યુટી ફાયર ઓફિસર રોહિત વિગોરાએ ડિસ્ચાર્જ અરજી સામે કરેલી રિવિઝન ફગાવી દેવામાં આવી છે.
આ કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટમાં સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા, ભોગ બનનાર પરીવાર વતી એડવોકેટ સુરેશ ફળદુ, હાઇકોર્ટમાં એડવોકેટ વિરાટ પોપટ, એન.આર. જાડેજા, ભાવેશ હજારે, રમેશ જાદવ, પદ્મિની પરમાર અને કીર્તિ હડિયા રોકાયા છે.