જામનગર પાટીદાર સમાજમાં કાજલ હિન્દુસ્તાની વિરદ્ધ ઉગ્ર આક્રોશ
- સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અભદ્ર વાણી-વિલાસ સામે ચેતવણી, એસ.પી.ને આપ્યું આવેદન
- આ વિવાદી મહિલા વિરુદ્ધ એફ.આઇ.આર. નોંધવા જામનગર પાટીદાર સમાજની માંગ
સોશ્યલ મીડીયા સાઇટ યુ-ટ્યુબ પર કાજલ હિન્દુસ્તાનીનો એક વિડીયો અપલોડ થયેલો છે, જેમાં પાટીદાર સમાજની દિકરીઓ વિશે વિવાદી નિવેદન આપવામાં આવ્યું છે, જે સંબંધે મોરબીમાં ફરિયાદ પણ નોંધાઇ ગઇ છે અને કાજલ હિન્દુસ્તાનીના આ નિવેદનના જામનગરમાં પણ ઘેરા પડઘા પડ્યા છે, પાટીદાર સમાજના યુવાનો અને અગ્રણીઓએ કાજલ હિન્દુસ્તાની વિરુધ્ધ ધોરણસરની એફ.આઇ.આર. નોંધવાની માંગ સાથે જામનગર એસ.પી. ને આવેદનપત્ર આપ્યું છે અને જણાવ્યું છે કે, સસ્તી પ્રસિધ્ધી માટે કાજલ હિન્દુસ્તાની અભદ્ર વાણી વિલાસ કરે છે જે કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
જામનગરના સામાજીક કાર્યકર પાર્થ પટેલ સહિતના પાટીદાર યુવાનો અને અગ્રણીઓએ ગઇકાલે શુક્રવારે જામનગર જિલ્લા પોલીસવડાને એક આવેદનપત્ર આપ્યું છે,જેમાં જણાવાયું છે કે, તા. 8 જુન 2023 ના દિવસે સુરત જિલ્લાના ગાધરકડા મિત્રમંડળ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ સમારોહમાં કાજલ હિન્દુસ્તાનીને આયોજકોએ આમંત્રિત કર્યા હતા, આ સમારોહનો કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો જે યુ-ટ્યુબ પર અપલોડ થયેલો છે, તેમાં તેણીએ પાટીદાર દિકરીઓ વિશે અભદ્ર વાણી-વિલાસ કર્યો છે, આ વાયરલ વિડીયોને કારણે મોરબીમાં રહેતા પટેલ સમાજના અને સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના લોકોની લાગણીઓ દુભાઇ છે, આ પાટીદાર સમાજનું અને પાટીદાર નારીઓનું ભયંકર અપમાન છે, જે કોઇપણ સંજોગોમાં ચલાવી લઇ શકાય નહીં, આ બાબતે જામનગર પાટીદાર સમાજ દ્વારા ખરાઇ કરવામાં આવેલી છે અને આવી કોઇ ઘટના મોરબીમાં બનેલ નથી, અને આ પ્રકારની કોઇ ઘટના કોઇ માધ્યમ દ્વારા સામે આવી નથી, તેમ છતાં આ કાજલ હિન્દુસ્તાની પોતાની વાહ-વાહી મેળવવા અને પોતાના ટીઆરપી તેમજ પબ્લીસીટી મેળવવા આવી મનઘડંત વાતો દ્વારા ઉશ્કેરણીજનક ભાષણો કરે છે, જે અંગે ગુજરાત તેમજ મોરબી પટેલ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ આવેદનપત્ર ઉપરાંત પાર્થ પટેલે જામનગરમાં મીડીયા સમક્ષ આ અંગે નિવેદન પણ આપ્યું હતું, જેમાં કાજલ હિન્દુસ્તાનીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે, હવે પછી સમાજના કોઇપણ કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન કરવામાં આવશે, તો ચલાવી લેવામાં આવશે નહીં, અને આ પ્રકારના કાર્યક્રમના આયોજકો વિરુધ્ધ પણ પગલાં લેવામાં આવશે.
ગઇકાલે શુક્રવારે એસ.પી. કચેરીએ પાટીદાર યુવાનો દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે પાર્થ પટેલ, ભુપત ધમસાણીયા, મનીષ ડાંગરીયા, કિશન સંઘાણી, લવજી ઠુમ્મર અને આર.આર. ઘાડીયા વગેરે પટેલ અગ્રણીઓ તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.