આર્યનગરમાં ગૃહકલેશથી કંટાળી સસરા-વહુએ સજોડે ફિનાઇલ પીધું
શહેરમાં સંત કબીર રોડ ઉપર આવેલા આર્યનગરમાં રહેતા સસરા-વહુએ ગૃહકલેશથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. સસરા-વહુની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સંત કબીર રોડ ઉપર આવેલા આર્યનગરમાં રહેતા ભરતભાઈ શાંતિલાલભાઈ કોટેચા (ઉ.વ.70) અને તેની પુત્રવધુ રાધિકાબેન ગૌરવભાઈ કોટેચા (ઉ.વ.32) બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધુ હતું. સસરા વહુને ઝેરી અસર થતા તાત્કાલિક સવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં ગૃહકલેશથી કંટાળી ભરતભાઈ કોટેચાએ ફીનાઇલ પી લીધા બાદ પુત્રવધુ રાધિકાબેને પણ ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા જુદા ત્રણ સ્થળે મહિલા સહિત ત્રણ લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં રેસકોર્ષ બસ સ્ટેશન પાસે રહેતી માલાબેન રાધેભાઈ પરમાર નામની 30 વર્ષની પરિણીતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. જ્યારે રતનપર ગામ પાસે આવેલ વિનાયક વિલામાં રહેતા મોહમ્મદ યુસુફભાઈ સોઢા નામના 23 વર્ષના યુવકે ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી.
આ ઉપરાંત આસ્થા સાંગ્રોલા સોસાયટીમાં રહેતા ચિરાગ દિનેશભાઈ દવે નામના 35 વર્ષના યુવાને કોઇ અગમ્ય કારણસર વાસણ ધોવાનું લિકવિડ ગટગટાવી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતા સહિત ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.