પુત્રોના મનરેગા કૌભાંડથી પિતાનું મંત્રીપદ જોખમમાં, બચુ ખાબડની વિદાય નિશ્ર્ચિત
દાહોદમાં ઝડપાયેલા મનરેગા યોજનાના કૌભાંડમાં રાજય કક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી ખુલતા હવે મંત્રી મંડળમાંથી બચુ ખાબડની વિદાય નિશ્ચિત મનાય છે. સચિવાલયમાં થતી ચર્ચા મુજબ વડાપ્રધાનની બે દિવસની મુલાકાત પુરી થતા હવે ગમે ત્યારે ખાબડનું રાજીનામું માંગી લેવામાં આવે તેવી શકયતા છે.
ગઇકાલે વડાપ્રધાનના દાહોદ ખાતેના કાર્યક્રમમાં પણ મંત્રી બચુભાઇ ખાબડની ગેરહાજરી જણાઇ હતી. ભ્રષ્ટાચારમાં તેમના પુત્રોના નામ ખુલતા બચુ ખાબડને તેના જ વિસ્તારના કાર્યક્રમોથી દુર રખાયા હોવાનું સ્પષ્ટ થયું છે. વડાપ્રધાનના કાર્યક્રમ માટે જનમેદની એકઠી કરવા માટે દોડધામ કરતા મંત્રી બચુભાઇ ખાબડને વડાપ્રધાનના કાર્યક્રમનું આમંત્રણ જ નહીં અપાયાની પણ ચર્ચા છે.
ગુજરાતના ઇતિહાસમાં વડાપ્રધાનનાં જિલ્લામાં કાર્યક્રમ હોય અને મંત્રી હાજર ન હોય આ જ બતાવે છે કે ખાબડ પોતે દૂર રહે છે. લોકમુખે એવી ચર્ચાએ પણ જોર પકડયુ છે કે આવડુ મોટુ કૌભાંડ આચર્યુ હોય અને આવા મંત્રીને મંત્રી પદ પર ચાલુ રાખવામાં આવે તે પણ એક આશ્ર્ચર્યજનક ઘટના છે.
ભાજપ હાઇકમાન્ડ પણ મંત્રીના પુત્રોના કૃત્યોથી ખૂબ જ નારાજ છે અને ટૂંક સમયમાં બચુભાઇ ખાબડને પાણીચુ આપવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. આ ઉપરાંત હાઇકમાન્ડે રાજયમાં પાર્ટીમાં અમૂક હોદેદારો કરવામાં આવતા કૃત્યોની ગંભીર નોંધ લીધી હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.