MACP બાર એસો.ના પ્રમુખ સહિત 12 હોદ્દેદારોનું ભાવિ મતપેટીમાં કેદ : સાંજે ફેંસલો
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ આમને સામને આવતા ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. બાર એસીસીએશનની ચૂંટણીના પડઘા હજુ શાંત પડ્યા નથી ત્યાં રાજકોટ એમએસીપી બાર એસોસિએશનની ચૂંટણી જાહેર થતા ફરી ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ આમને સામને આવતા ચૂંટણીનો માહોલ જામ્યો છે. એમએસીપી બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉપપ્રમુખ અને ટ્રેઝરર પદ બે ઉમેદવારો બિનહરીફ થયા છે જ્યારે પ્રમુખ પદ સહિત 10 હોદા ઉપર એમ.એ.સી.પી. બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 91.55 ટકા મતદાન થયું હતું. આજે સાંજે મતગણતરી બાદ પરિણામ જાહેર કરાવવામાં આવશે. ચૂંટણી પરિણામ ઉપર વકીલોની મીટ મંડાણી છે.
રાજકોટ એમએસીપી બાર એસોસિએશનના ચૂંટણી કમિશનર સંજયભાઈ વ્યાસ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવતા ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. જેમાં એમએસીપી બારના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ મહેતા અને અજયભાઈ જોશીએ એમએસીપી બાર એસોસિએશનનો તાજ કબ્જે કરવા ઉમેદવારી નોંધાવી હતી. રાજકોટ બાર એસોસિએશનની માફક ચર્ચામાં રહેલી રાજકોટ એમએસીપી બાર એસોસિયેશનની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે ગીરીશ પ્રજાપતિ અને ટ્રેઝરર પદે કપિલ શુક્લ બિનહરીફ જાહેર થયા હતા. ત્યારે પ્રમુખ પદના હોદા ઉપર એડવોકેટ રાજેશભાઈ મહેતા અને અજયભાઈ જોશી, સેક્રેટરી પદે કૌશિક પોપટ અને વિનુભાઈ વાઢેર, સેક્રેટરી પદે રાજેન્દ્ર ડોરી અને સ્તવન મહેતા, તેમજ કારોબારી સભ્યમાં ચિરાગ છગ, મહેશ કંડોલિયા, કરણ કારીયા, મૃદુલાબેન મકવાણા, રાહુલ મકવાણા, નાસીર મોદન, જગદીશ નારીગરા, સંજય નાયક અને હેમંત પરમાર ઉમેદવારી નોંધાવી હતી. આજે નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે એમએસીપી બાર એસોસિયેશનના રૂૂમમાં સવારે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. જેમાં 222 વકીલ મતદારોમાંથી 206 વકીલ મતદારોએ મતદાન કરતા કુલ 91.55 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન પૂર્ણ થતાં જ થોડા વિરામ બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અને મતગણતરી પૂર્ણ થયા બાદ સાંજે પરિણામ જાહેર કરાવવામાં આવશે. ચૂંટણી પરિણામ ઉપર વકીલોની મીટ મંડાણી છે.