For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહેસાણામાંથી બનાવટી જીરુંની ફેકટરી ઝડપાઇ

01:06 PM Dec 12, 2023 IST | Sejal barot
મહેસાણામાંથી બનાવટી જીરુંની ફેકટરી ઝડપાઇ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા ખાતેથી આશરે રૂૂ. 89 લાખની કિંમતના 31,000 કિલોગ્રામ જેટલો બનાવટી જીરાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મહેસાણા ટીમ દ્વારા બાતમીના આધારે ઊંઝાના ગંગાપુરા રોડ ખાતે આવેલી ફેકટરીમાં રેઇડ કરતા વેપારી શ્રી ધર્મેન્દ્રકુમાર પટેલ દ્વારા સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું.
આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં મિક્ષ પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જણાયું હતું.
પ્રાથમિક દ્રષ્ટીએ જીરામાં ભેળસેળ કરતા હોવાનું જણાતા સ્થળ પરથી ગોળ ની રસીનો 643 લીટર જથ્થો, મિક્ષ પાઉડર નો 258 કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો 5,298 કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો 24,718 કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે. સ્થળ પરથી જીરું, ગોળની રસી (એડલટ્રન્ટ), મિક્ષ પાઉડર અને વરિયાળી મળીને કુલ 4 નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે તમામ જથ્થો મળી આશરે રૂૂ. 89 લાખની કિંમતનો 31,000 કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.
આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.
ફૂડ વિભાગનો દરોડો પડતા શેડમાં ચાલતી ફેક્ટરીના માલિકે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, આ જીરુનો જથ્થો નથી. જીરુંની જેમ જ દેખાઈ રહેલ જથ્થાને ફૂડ વિભાગે જપ્ત કરીને તેના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ જથ્થો બહાર વેચવામાં આવતો હતો અને કોને વેચવામાં આવતો હતો એ અંગે પણ તપાસ શરુ કરી છે.
નકલી જીરુના આ જથ્થાને લઈ માલિકે કહ્યુ હતુ કે, આ જથ્થો પશુઆહાર છે અને તેઓ તેને વેચતા પણ હતા. આમ હવે ફૂડ વિભાગ માટે સવાલ એ છે કે, પશુ આહારનો દાવો પોકળ છે અને જીરુ નકલી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા એ અંગે તપાસ કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement