ઉપલેટામાં પણ માંડવિયા વિરોધી પોસ્ટરો લાગતા ભાજપના નેતાઓમાં ભારે દોડધામ
- કોંગ્રેસ ઉપર આક્ષેપબાજી, લલિત વસોયાનો વળતો પ્રહાર
પોરબંદર બેઠક પર ભાજપમાંથી ઉમેદવાર તરીકે મનસુખ માંડવિયા ને જાહેરાત કરવામાં આવી છે. તો બીજી બાજુ કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આજે ઉપલેટામાં મનસુખભાઇ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. સ્થાનિક ઉમેદવારને મત આપવાની માંગ સાથે ઉપલેટાના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે.
ધોરાજી બેઠક ઉપર પોસ્ટર બાબતે રાજકીય યુદ્ધ શરૂૂ થયું છે. ભાજપ-કોંગ્રેસ એ એક બીજા પર આક્ષેપ કર્યા છે. પોસ્ટર બાબતે ધોરાજી ભાજપના શહેર પ્રમુખે આક્ષેપ કરતા કહ્યું છે કે, કોંગ્રેસના ઉમેદવાર હારી જવાના ભયથી પોસ્ટર લગાવી રહ્યા છે. તો પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, પોસ્ટર લાગવાનું કારણ ભાજપમાં આંતરિક વિખવાદ છે. ભાજપના કાર્યકર એ જ પોસ્ટર લગાવ્યા છે.
ઉપલેટા તેમજ સેવંત્રા ગામમાં મનસુખ માંડવિયા વિરુદ્ધ બેનરો લાગ્યા છે. મનસુખ માંડવીયાના બેનરોમાં સાથે લલિત વસોયા પણ ફોટો રાખવામાં આવ્યો છે અને આપડુ કામ આવતા પાંચ વર્ષ કોણ કરી શકશે... પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર કોણ?, પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર એ કોણ?, મતદારોની વચ્ચે આવતા પાંચ વર્ષ રહેશે એ કોણ? લખવામાં આવ્યું છે.