For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપના ઉમેદવારો બદલાય તો પણ જ્ઞાતિના સમીકરણો રહેશે યથાવત

05:47 PM Feb 29, 2024 IST | Bhumika
ભાજપના ઉમેદવારો બદલાય તો પણ જ્ઞાતિના સમીકરણો રહેશે યથાવત
  • લોકસભાની ચૂંટણી માટે ભાજપનો વ્યૂહ, રાજકોટ બેઠક કડવા પાટીદારને જળવાઈ રહેશે, રૂપાલાનું નામ પ્રથમ
  • પોરબંદરમાં માંડવિયાને લડાવાય તેવી શક્યતા, ડો. ભરત બોઘરા માટે અમરેલીનો વિકલ્પ વિચારણામાં
  • કચ્છ-જૂનાગઢના સાંસદોના પત્તા કપાવાનું નિશ્ર્ચિત, જામનગરના પૂનમબેન, ભાવનગરના ભારતીબેન અને સુરેન્દ્રનગરના ડો. મુંજપરા અંગે અવઢવ
  • અમિત શાહ-પાટીલની બેઠકો યથાવત રહેશે, બાકીની 24 બેઠકોના મુરતિયા નક્કી કરવા મનોમંથન

આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠકોના નામો અંગે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા થઈ હતી. તેમાં અમિત શાહ અને સી.આર. પાટીલના નામ ફાઈનલ થયા છે જ્યારે બાકીની 24 બેઠકો માટે ઉમેદવારો અંગે મનો મંથન થયું હતું તેમાં દરેક બેઠકના જ્ઞાતિના સમિકરણો યથાવત રાખવા નિર્ણય લેવાયાનું જાણવા મળી રહ્યું છે. ઉમેદવારો બદલે તો પણ જે તે બેઠક ઉપર હાલ જે જ્ઞાતિના સાંસદો છે તે જ જ્ઞાતિના નવા ઉમેદવાર પસંદ કરવામાં આવનાર છે.

Advertisement

જ્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યાક્ષ ડો. ભરત બોઘરા માટે રાજકોટ કે પોરબંદરના બદલે અમરેલી બેઠકનો વિકલ્પ ચર્ચામાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.હાલની બેઠકો ઉપર જ્ઞાતિના સમિકરણો જાળવી રાખવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક ઉફર કડવા પાટીદાર ઉમેદવારને જ ફરી ટિકિટ આપવી પડે અને લેઉવા પાટીદારૉો માટે પોરબંદર તથા અમરેલી બેઠકો રહે છે. પોરબંદર બેઠક ઉપર હાલના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાને લડાવાય તેવી પુરી શક્યતા છે. આમ થાય તો વર્તમાન સાંસદો રમેશભાઈ ધડુકને આરામ અપાઈ શકે છે.

જ્યારે અમરેલી બેઠક ઉપરથી હાલના સાંસદ નારણભાઈ કાછડિયા છે. પરંતુ કેટલાક વિવાદોના કારણે તેની ટિકિટ કપાવવાની પુરી શક્યતા છે. લેઉવા પટેલની આ બેઠક ઉપર ડો. ભરત બોઘરાને ટિકિટ આપી તેને દિલ્હી લઈ જવામાં આવે તેવો વિકલ્પ વિચારાયો છે.

Advertisement

રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીયમંત્રી પરસોતમભાઈ રૂપાલાના નામની પ્રથમ ચર્ચા છે જ્યારે તેના સિવાય વર્તમાન સાંસદ મોહન કુંડારિયા, પુષ્કર પટેલ, બ્રિજેશ મેરજા, જગદીશભાઈ કોટડિયા, દિપીકાબેન સરાડવા, જ્યોતિબેન ટીલવા સહિતના દાવેદારો છે.

જ્ઞાતિના સમિકરણો યથાવત રહે તો પણ મોટા નેતાઓને લોકસભામાં લઈ જવા માટે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, પોરબંદરના સાંસદ રમેશ ધડુક એન અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાની વિદાય નિશ્ર્ચિત મનાય છે.

જો કે, ભાજપ માટે સૌથી મોટી સમસ્યા મહિલા ઉમેદવારો શોધવાની છે. સંસદમાં બેસીને પ્રશ્ર્નોની રજૂઆત કરી શકે તેવા શિક્ષિત મહિલા ઉમેદવારોનું અલગથી લિસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ટર્મમાં ભાજપ દરેક બેઠક ઉપર જે તે જ્ઞાતિના શિક્ષિત અને ફાયરબ્રાન્ડ ઉમેદવારોની શોધમાં છે.

આ સિવાય કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને જુનાગઢના સાંસદ વિમલ ચુડાસમાની ટિકિટ કપાવવાનું લગભગ નક્કી છે. ભાવનગર અને જામનગરના મહિલા સાંસદો ડો. ભારતીબેન શિયાળ તથા પૂનમબેન માડમ શિક્ષિત અને સક્રિય છે, છતાં તેના વિકલ્પે અન્યને ટિકિટ મળી શખે છે. સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા કેન્દ્રીયમંત્રી છે. અને લો પ્રોફાઈલ શિક્ષિત ઉમેદવાર છે. ત્યારે તેમને રિપિટ કરાય છે કે, પત્તુ કપાય છે તે જોવાનું રહ્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement