રોગચાળો બેકાબૂ, રાજકોટના વૃદ્ધ અને મેટોડાની બાળકીના તાવથી મોત
ચોમાસા બાદ વધતો જતો રોગચાળો, હોસ્પિટલમાં ઊભરાતા દર્દીઓ
વરસાદની ઋતુ બાદ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં રોગચાળાએ ભરડો લીધો છે. રોગચાળાના કારણે તાવના કેસો વધી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટ અને મેટોડાના બે દર્દીના તાવથી મોત થયા છે. રાજકોટનાં 70 વર્ષના વૃધ્ધ અને મેટોડાની એક વર્ષની બાળકીને તાવ ભરખી ગયો હતો.
હાલ ચોમાસાની સીઝન બાદ રોગચાળો વધુ ફેલાઈ રહ્યો છે. રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં શરદી, તાવ, ઉધરસ અને વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા જોઈને વરસાદ બાદ હવે રાજકોટ અને સૌરાષ્ટ્રને રોગચાળાએ જાણે ભરડામાં લીધું હોય તેવું દેખાઈ રહ્યું છે. ડેંગ્યુ, મેલેરીયા, ટાઈફોડના કેસો પણ વધી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલ દર્દીઓની ઉભરાઈ રહી છે ત્યારે બે દર્દીઓના તાવથી મોત થતાં તંત્ર સંફાળુ જાગી ઉઠયું છે. રાજકોટના સાધુવાસવાણી રોડ પર ગુરૂજી આવાસ યોજના કવાર્ટસમાં રહેતા જેઠાભાઈ નારણભાઈ પરમારનું તાવ આવવાથી મોત થયું છે. જેઠાભાઈ નિવૃત્ત સફાઈ કર્મચારી હતાં. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે અને ચાર ભાઈ અને એક બહેનમાં બીજા નંબરના હતાં. જેઠાભાઈને છેલ્લા બે દિવસથી તાવ આવતો હોય તેમને દવા લીધી હતી. પરંતુ સારુ ન થતાં ઘરેજ બેભાન હાલતમાં મોતને ભેટયા હતાં.
અન્ય બનાવમાં મેટોડાના જીઆઈડીસી ગેઈટ નં.3માં આવેલા કારખાનામાં રહેતા અને મજુરી કામ કરતાં કૌશલ સોનકરની એક વર્ષની પુત્રી મનદેવીને તાવ આવતો હોય તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું. આમ રાજકોટમાં એક જ દિવસમાં તાવના કારણે વૃધ્ધ અને બાળકીના મોતથી તંત્ર સફાળુ જાગી ઉઠયું છે.