For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં ઈમરજન્સી જાહેર, ધંધા-રોજગાર બંધ કરી ઘરમાં રહેવા અપીલ

04:42 PM May 10, 2025 IST | Bhumika
જામનગરમાં ઈમરજન્સી જાહેર  ધંધા રોજગાર બંધ કરી ઘરમાં રહેવા અપીલ

Advertisement

શહેર અને જિલ્લામાં પાકિસ્તાન દ્વારા હુમલાઓની ચેતવણી, જાહેર માર્ગો પર ન નીકળવા અને તંત્રની સુચનાનું ચુસ્તપણે પાલન કરવા કલેકટરની સુચના

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં પ્રવર્તી રહેલી અત્યંત તણાવપૂર્ણ યુદ્ધ જેવી પરિસ્થિતિ તથા ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલ એર સ્ટ્રાઈકના પગલે સરહદી વિસ્તારોમાં યુદ્ધની ગંભીર સ્થિતિ સર્જાઈ છે, અને આ પરિસ્થિતિમાં પાકિસ્તાન તરફથી ભારતીય સરહદી વિસ્તારોમાં લગાતાર બોમ્બ ફાયરિંગ અને ડ્રોન એટેક જેવા ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારી રાખવામાં આવી રહી છે, ત્યારે આ ગંભીર પરિસ્થિતિના પગલે જામનગર સ્થિત એરફોર્સ સ્ટેશન દ્વારા પણ સ્થાનિક વહીવટી તંત્રને ચોક્કસ આગાહી અને વોર્નિંગ આપવામાં આવી છે, જે મુજબ કલેક્ટર કેતન ઠક્કર દ્વારા એક મહત્વપૂર્ણ ટ્વીટ કરી યાદી જાહેર કરીને જામનગર શહેર અને જિલ્લાના તમામ નાગરિકોને અત્યંત તાકીદ અને અપીલ કરવામાં આવી છે કે, પ્રવર્તમાન સંજોગોમાં આપત્કાલીન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાથી સુરક્ષાના કારણોસર કોઈ પણ નાગરિકોએ પોતાના ઘરની બહાર બિનજરૂૂરી રીતે રહેવું નહીં તેમજ શહેરના તમામ વેપાર ધંધા અને રોજગારને પણ તુરંત જ બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

Advertisement

કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જામનગરના તમામ લોકોને પોતાના ઘરમાં જ સુરક્ષિત રહેવા અથવા કોઈપણ સુરક્ષિત સ્થળે આશ્રય લેવા માટે ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે અને જાહેર માર્ગો પર કોઈપણ ભોગે ભીડ કરવી નહીં કે રહેવું નહીં તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પૂરી તૈયારીમાં હોવાનું પણ કલેક્ટર દ્વારા જણાવાયું છે, પરંતુ નાગરિકોની સુરક્ષા સર્વોપરી હોવાથી તંત્ર દ્વારા જારી કરવામાં આવેલી આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું એ સમયની માંગ છે અને કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વિના અથવા ગભરાટ ફેલાવ્યા વિના શાંતિ અને શિસ્ત જાળવીને તંત્રને સહયોગ આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે, જેથી આ સંકટના સમયમાં જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ સવારે સમીક્ષાબેઠક કરીને રાજ્યના તમામ જિલ્લામાં યુધ્ધને લઈને ઉભી થનારી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમણે પુરવઠા વીજળી, માર્ગ મકાન તેમજ પેટ્રોલ-ડિઝલનો જથ્થાની ઉપલબ્ધતાને લઈને માહિતી મેળવી હતી તેમજ કોઈપણ વિકટ પરિસ્થિતિમાં પણ તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે સુચનો આપ્યા હતા. જામનગર જિલ્લામાં અનેક અતિ મહત્વના યુનિટો આવેલા હોવાથી તેની સુરક્ષા માટે પણ કલેકટર દ્વરારા અગાઉથી જ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement