એકલવાયુ જીવન જીવતા વૃધ્ધનું હાર્ટએટેકથી મોત
શહેરની ભાગોળે ગોંડલ હાઈ-વે પર આવેલા આગમન સિટીમાં એકલવાયુ જીવન જીવતાં વૃધ્ધનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું. વૃધ્ધ બે દિવસથી ઘરમાંથી બહાર નીકળ્યા ન હોય પાડોશીએ જાણ કરતાં સંબંધીઓ દોડી આવ્યા હતાં અને તપાસ કરતાં ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ રોડ પર પરિન ફર્નિચર પાછળ આગમન સિટી ફલેટ નં.એ-504માં રહેતાં રમેશભાઈ નાથાભાઈ સંચાણીયા (ઉ.65) નામના વૃધ્ધ બે દિવસથી પોતાના ઘરની બહાર નીકળ્યા ન હોય જેથી પાડોશીને શંકા જતાં તેમણે રમેશભાઈના અન્ય સંબંધીને ફોન કરી જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતાં. ફલેટનો દરવાજો તોડી તપાસ કરતાં રમેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક બે દિવસથી ઘરમાં પડયા હોય અને તેમને માથાના ભાગે ઈજા હોય પડી જવાથી મોત થયાની શંકાએ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સીક પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તબીબો દ્વારા પીએમ કર્યા બાદ હાર્ટએટેક આવી જતાં પડી જવાથી તેમનું મોત થયાનું જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતક રમેશભાઈ એકના એક ભાઈ હતાં. અગાઉ તેમના લગ્ન થયા હતાં. પરંતુ 35 વર્ષ પહેલા છુટાછેડા થઈ જતાં તેઓ એકલવાયું જીવન જીવતાં હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.