સોગઠી ડેમનું પાણી કેનાલમાં ડાઈવર્ટ કરી ગાબડું પૂરવાના તંત્ર દ્વારા પ્રયાસો
સતત ઓવરફ્લોના કારણે કામમાં વિક્ષેપ, અધિકારીઓનું મોનિટરિંગ
જામનગરમાં મેઘરાજાનો તાંડવ જોવા મળ્યો છે. ભારે વરસાદનાં કારણે જિલ્લાનાં વિવિધ ગામોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. કેટલાક ગામો બેટમાં ફેરવાઈ જતાં લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ત્યારે જિલ્લામાં આવેલ સોગઠી ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે.
ઉપરવાસથી પાણીનો પ્રવાહ વધતા ડેમમાં ગાબડું પડ્યું છે. આથી, ધસમસતા પાણીનાં પ્રવાહને ડાયવર્ટ કરવાની કામગીરી શરૂૂ કરાઈ છે. ડેમમાં ગાબડું પડતા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઓવરફ્લોનું પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે. માહિતી મુજબ, ધારાસભ્ય હેમંત ખવાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ઓવરફ્લો બંધ થયા બાદ યુદ્ધનાં ધોરણે ગાબડાંના સમારકામની કામગીરી કરાશે.
સિંચાઈ વિભાગનાં અધિકારીએ ગુજરાત ફર્સ્ટને માહિતી આપતા જણાવ્યું કે, ડેમ ઓવરફ્લો થતાં ડેમના પાણીને કેનાલ મારફતે છોડવવાનું કામ ચાલી રહ્યું છે. ડેમ ખાલી થયા બાદ ગાબડાંના રિપેરિંગની કામગીરી શરૂૂ કરાશે. આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ડેમને 4 ફૂટ ગાબડાં સુધી ખાલી કરવામાં આવશે, જેથી ડેમનો ઓવરફ્લો ઓછો થાય અને ગાબડું બુરવા કામગીરી શરૂૂ કરવામાં આવશે.