શૈક્ષણિક સંગઠનો તા.26 સપ્ટેમ્બર સુધી સંમેલન-કાર્યક્રમો નહીં કરી શકે
શિક્ષણ બોર્ડના સભ્યોની ચૂંટણી અંતર્ગત આચારસંહિતાની અમલવારી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની ચૂંટણીને લઈને આચારસંહિતા અમલમાં મૂકવામાં આવી છે. જેથી આચારસંહિતા અમલમાં હોય તે દરમિયાન શૈક્ષણિક સંગઠનો કોઈ પણ પ્રકારના અધિવેશન યોજી શકશે નહીં. ઉપરાંત જો અધિવેશનની મંજૂરી આપેલી હશે તો તે પણ રદ કરવામાં આવશે. આ ઉપરાંત શૈક્ષણિક સંગઠનો દ્વારા જાહેર કાર્યક્રમો પણ યોજવામાં નહીં આવે.
26 સપ્ટેમ્બરના રોજ મતગણતરી પૂર્ણ થયા બાદ આચારસંહિતા હટાવવામાં આવશે, ત્યારબાદ કાર્યક્રમો યોજવાની મંજૂરી મળશે. આચારસંહિતાના અમલ માટે જિલ્લા શિક્ષણાધિકારીઓને તેમના જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારીઓએ ચૂંટણીની આચારસંહિતાનો ભંગ ન થાય તે જોવાનું રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 9 સભ્યોની ચૂંટણીને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ હવે ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે, આ તૈયારીઓ વચ્ચે શૈક્ષણિક સંગઠનો અધિવેશન યોજી કે અન્ય કાર્યક્રમો દ્વારા મતદારોને પોતાની તરફે આકર્ષી ન શકે તે માટે 26 સપ્ટેમ્બર સુધી આચારસંહિતા અમલમાં મૂકવામાં આવી છે. આચારસંહિતાના યોગ્ય અમલીકરણ માટે જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીઓને તેમના જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેથી તેઓ પોતાના જિલ્લામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ખાસ તકેદારી રાખશે.