દારૂનો ધંધો મુકી ઇમિટેશનનો વ્યવસાય કરી ઇજ્જતની જિંદગી જીવો: ડીસીપી પૂજા યાદવ
- દારૂના ધંધા સાથે સંકળાયેલી 50 મહિલાઓને રોજગારી આપવા ખાતરી અપાઇ: સંતાનોના સારા ભવિષ્ય માટે મહિલાએ દારૂનો ધંધો છોડી દેવો જોઇએ
રાજકોટ શહેરમાં ઘણા સ્લમ વિસ્તારોમાં દેશી દારૂના ધમધોકાર વેપલાને કારણે યુવાનો નશા તરફ વળી રહ્યા હોવાથી શેરીએ ગલીએ પાણીની જેમ વેંચાતા દારૂના ધિકતા ધંધાને બંધ કરાવવા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસીપી પુજા યાદવ દ્વારા ઝોન-1 વિસ્તારનાં બી ડીવીઝન, થોરાળા પોલીસ મથક સહિત ત્રણ વિસ્તારમાં દેશીદારૂનો ધંધો કરતી 50 જેટલી મહિલાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. ડીસીપી ટ્રાફિક પુજા યાદવે જણાવ્યું હતું કે, દેશીદારૂના દુષણને ડામવા સૌપ્રથમ દારૂના ધંધાર્થીઓથી જ પહેલ થવી જોઇએ અને આ દારૂના ધંધાને બંધ કરી આ સમાજમાં ઇજ્જતની જીદંગી જીવવા માટે અન્ય વ્યવસાય જેમ કે ઇમિટેશનના વ્યસાય તરફ વળી સંતાનોને સારૂ ભણતર આપી શકાય છે. તેમજ તેમની પર ખોટી સંગત કે અસર પડતી હતી. તેમના સંતાનો પર પણ ખોટી અસર થશે અને તેઓ પણ આ દારૂના ધંધા સાથે જોડાશે માટે આ દારૂનો ધંધો બંધ કરી ઇમિટેશનના ધંધા સાથે જોડાયને ઇજ્જતની જીંદગી જીવવી જોઇએ.
આ સાથે આ મીટીંગમાં ડીસીપી પુજા યાદવે વધુમાં જણાવ્યું હતું કે, ઇમિટેશનના હોદ્દેદારો અને વેપારીઓ મહિલાઓને ટ્રેનીંગ આપવા આગળ આવી રહ્યા છે. તેમજ રોજગારી માટે મહિલાઓને કોઇ મદદની જરૂર હોય તો તે માટે પોલીસ દ્વારા પૂશ્રતા પ્રયત્નો કરવામાં આવશે. તેવી ખાતરી આપવામાં આવી છે. તેમજ આ કાર્યક્રમમાં બી ડીવીઝન પીઆઇ એસ. એમ.જાડેજા અને થોરાળા પોલીસનાં પીઆઇ એન.જી. વાઘેલા ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો.