યુરિયાની તંગીના પગલે 18 જિલ્લાનાં 56 વિક્રેતાઓને ત્યાં તપાસ,64 ટીમો ત્રાટકી
રાજ્યમાં હાલ ખરીફ સીઝનનું મોટાભાગનું વાવેતર થઈ ચુક્યું છે. કેટલીક જગ્યાએ યુરિયા ખાતર મળતું ન હોવાના અહેવાલો પ્રસારિત થયા હતા. રાજયને યુરિયા ખાતરનું 80,000 મે.ટન વધારાના જથ્થાની ફાળવણી કરી હતી.
કૃષિ વિભાગ દ્વારા રાજ્યના રાસાયણિક ખાતરના સુચારૂૂ વિતરણ અને તેની સબસિડીના લાભનો સાચા હકદાર ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા હેતુસર મુખ્યપ્રધાનન આદેશથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. યુરિયા ખાતરના ઔદ્યોગિક ઉપયોગની શક્યતા, કાળા બજાર, કૃત્રિમ ખાધ ઊભી કરવી, સંગ્રહખોરી જેવા મુદ્દાઓ તથા દરેક ખેડૂતને ખાતર મળી રહે તે માટે માટે રાજ્યના ત્રણ અધિક કલેક્ટરને 6-6 જિલ્લાની જવાબદારી સોપવામાં આવી હતી. તેમજ કૃષિ વિભાગની 64 ટીમો આ કામે ફાળવવામાં આવી છે.
તપાસના પ્રથમ દિવસે, તા. 04/08/ 2025 ના રોજ 18 જિલ્લાઓમાં કુલ 56 વિક્રેતાઓને ત્યાં ચકાસણી કરવામાં આવી અને વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ દ્રષ્ટિએ કુલ 17 જેટલી વિસંગતતાઓ સામે આવી જે માટે નોટીસ આપી છે અને 4 ડીલરોના કિસ્સામાં યુરીયા શંકાસ્પદ અન્ય હેતુ માટે ડાયવર્જન જણાતા લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ, આ ટીમો દ્વારા 502 જેટલા ખેડૂતો સાથે પરામર્શ કરી તેમાંથી 71 ખેડુતોએ મેળવેલ તમામ જથ્થાની વિગતવાર માહિતી મેળવાઈ છે.
આ બાબતે થયેલી વિસંગતતાઓ અંગે તાત્કાલિક નિવારક પગલાં લેવા અને નિયમ મુજબની કડક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ખાતરના વિતરણમાં પારદર્શિતા અને ખેડૂત હિતમાં યોગ્ય વ્યવસ્થા અમલમાં રહે તે માટે કટિબદ્ધ છે.