ભારે વરસાદને કારણે વિશ્ર્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો યોજાવા સામે પ્રશ્ર્નાર્થ
હાલમાં સાતમ-આઠમના તહેવારનો માહોલ ચાલી રહ્યો હતો, ત્યારે આવા સમયે લોકો રજાનો આનંદ લઈને મેળામાં મજા માણતા હોય છે. જોકે આ વખતે વરસાદે મજા બગાડી નાખી છે. ત્યારે હવે તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વપ્રખ્યાત તરણેતરના મેળાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.સાતમ-આઠમની રજાઓમાં લોકો ઘરોમાં બેસી રહેવા માટે મજબૂર બન્યા હતા. ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે, ત્યારે આવા સમયે મેળાઓનું આયોજન ઘણી વાર સંચાલકો માટે મોટું નુકસાન લઈને આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રખ્યાત લોકમેળો તરણેતરની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહેતા હોય છે.
વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આગામી સપ્ટેમ્બર મહિનામાં 6 થી 9 તારીખની વચ્ચે યોજાવાનો હતો. ત્યારે હવે તરણેતર ગ્રામ પંચાયત તરફથી ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ બેઠક બોલાવીને આ મેળો બંધ રાખવા માટે કલેક્ટરને આવેદન મોકલી આપવામાં આવ્યું છે.
ઠરાવમાં જણાવ્યા અનુસાર, આજરોજ ગ્રામ પંચાયત તરણેતરના સરપંચશ્રીના અધ્યક્ષ સ્થાને આગામી તરણેતર લોકમેળા 2024 અંતર્ગત હાલમાં અતિભારે વરસાદના કારણે હાલમાં તરણેતર ગામ તળાવ, ડેમ, નદી, નાળા ઓવરફ્લો થઈ ગયેલ છે. તરણેતર ગામને જોડતા તમામ રસ્તાઓ હાલની સ્થિતિએ જો ઉપરવાસમાં સામાન્ય વરસાદ પડે તો પણ સંપૂર્ણ બંધ થાય તેવી શક્યતાઓ રહેલી છે. જેના કારણે લોકમેળામાં પધારનાર લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે, તેમજ આકસ્મિક આફત સર્જાય તેમ હોય, જેથી ગ્રામ પંચાયત વર્ષ 2024નો લોકમેળો ગ્રામ પંચાયત પોતાના હસ્તક કરવા માગતી નથી.