વીરપુરથી કાગવડ સુધી ડો.મનસુખ માંડવિયાની પદયાત્રા
- પોરબંદર મત વિસ્તારમાં ઉમળકાભેર સ્વાગત, ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ
પોરબંદર લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ આજે પોતાના મત વિસ્તામાં પ્રચાના બીજા દિવસે વિરપુર ખાતે જલારામબાપાના દર્શન કરી વિરપુરથી કાગવડ સુધીની પદયાત્રા યોજી હતી અને માં ખોડલના આશિર્વાદ લીધા હતા.
આજે સવારે 8-30 વાગ્યે વિરપુર ખાતે ડો.મનસખ માંડવિયાએ જલારામબાપાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ કાગવડની પદયાત્રા શરૂ કરી હતી. આ પદયાત્રામાં સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્યો જયેશ રાદડીયા, રમેશભાઇ ટીલાળા, ગીતાબા જાડેજા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા સહીત વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકરો હોદેદારો પદાધિકારીઓ વિગેરે જોડાયા હતા.
કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા અને ભાજપના આગેવાનોએ ખોડલધામ મંદિરે દર્શન કર્યા હતા. જયાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ તેમજ ટ્રસ્ટીઓએ તેમનું સ્વાગત કર્યું હતું અને બપોરનો પ્રસાદ પણ મંદિર પરિસરમાં જ લીધો હતો. ડો.માંડવીયાને પોરબંદરની ટિકિટ મળતા ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ડો.માંડવિયાએ પણ આ બેઠક ઉપરથી 5.51 લાખ કરતા વધુ મતની લીડથી વિજેતા બનવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો અને પોરબંદર મત વિસ્તારના વિકાસ કાર્યો તેમજ લોકોની સેવા માટે સદાય તત્પર રહેશે તેમ જણાવ્યું હતું. તેમણે પોરબંદર મત વિસ્તારમાં ઉમળકાભેર સ્વાગત બદલ ભાજપના કાર્યકરો અને આગેવાનોનો આભાર માન્યો હતો.