આજકાલના આવેલા કોઇ મને શિખામણ ન આપે, ચમચાગીરી નહીં કામ કરો
- કડીના કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીના આકરા તેવર ચર્ચામાં
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ દરમિયાન આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. બીજી તરફ તોડજોડની રાજનીતિએ પણ વેગ પકડ્યો છે . ત્યારે હવે નારાજગીનો દોર પણ શરૂૂ થઈ ચૂક્યો છે. આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી આકરા પાણીએ જોવા મળ્યા છે. એક જાહેર કાર્યક્રમમાં નીતિન પટેલે જાહેર મંચ પરથી શીખામણ આપનારાઓને ચેતવણી આપી છે.
ભાજપના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ સ્વેચ્છાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ, તેઓ આજે મહેસાણાના કડીમાં એક સભામાં ભાષણ આપી રહ્યા હતાં, જેમાં તેઓ લોકોને ઠપકો આપી રહ્યા હતાં. નીતિન પટેલ થોડા ગુસ્સાવાળા સ્વભાવમાં કહ્યું કે, મેં કહ્યું કે, ભરતને ચૂંટણીમાં કંઈક મદદ કરો ત્યારે મને કહે કે ભરત ન ચાલે. તેઓએ આગળ કહ્યું કે આજકાલના આવેલા કોઈ મને શિખામણ ન આપે.
ભાજપમાં જુથવાદ અનેક વાર સામે આવી ચૂક્યા છે. ત્યારે કડી પાલિકાના કાર્યક્રમમાં જાણે ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. તેમણે જાહેરમાં કહ્યું કે, કડીમાં કયો કાર્યકર ચાલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય. કોઈ ચમચાગીરી નહિ કરવાની પણ તટસ્થતાથી કામ કરવાનું છે. પ્રજા મારી જોડે છે, મારે કાઈ લેવાનું નથી કે ચુંટણી લડવાની નથી, હું ઉમેદવાર નથી જે મેં જાહેર કરી દીધું છે. મહેસાણા જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ભરત પટેલ નીચે બેઠા છે અને અમુક લોકો કહે મને મંચ પર ના બેસાડ્યા. ત્યારે નીતિન પટેલે કહ્યું કે કદી અભિમાન ના રાખવું જોઈએ. ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે.