ચૂંટણી ટાણે સસ્તા અનાજના વેપારીઓને ખાંડનો જથ્થો નહીં ફાળવતા ભારે દેકારો
- બીપીએલ, અંત્યોદય કાર્ડધારકો ખાંડના જથ્થાથી વંચિત રહ્યાં
લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે વહીવટી તંત્ર ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત બની ગયું છે. બીજી બાજુ ચૂંટણી ટાણે જ માર્ચ મહિનાનો સસ્તા અનાજના વેપારીઓને ખાંડનો જથ્થો નહીં ફાળવતાં ગરીબો અને કાર્ડધારકો ખાંડના જથ્થાથી વંચિત રહી જતાં ભારે હોબાળો મચી ગયો છે.રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લાના સસ્તા અનાજના વેપારીઓ પાસેથી એડવાન્સમાં ખાંડના જથ્થાના પૈસા ઉઘરાવ્યા બાદ માર્ચ મહિનાનો ખાંડનો જથ્થાની પુરતી ફાળવણી કરી નહીં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
રાજકોટ શહેર જિલ્લાના 70 થી 80 ટકા સસ્તા અનાજના વેપારીઓને હજુ સુધી ખાંડનો જથ્થો પહોંચ્યો નથી જેના કારણે ખાંડનું વિતરણ ખોરંભે પડી જતાં બીપીએલ કાર્ડ ધારકો અંત્યોદય કાર્ડ ધારકો ખાંડના જથ્થાથી વંચિત રહી ગયા છે.રાજકોટ શહેર જિલ્લાની 30 થી 35 ટકા જ દુકાનદારોને ખાંડનો જથ્થો ફાળવવામાં આવ્યો છે ત્યારે બાકીનો જથ્થો કયા કારણોસર નથી ફાળવવામાં આવ્યો તે અંગે જવાબ આપવાના બદલે મૌન સેવી લીધું છે જેના કારણે ગરીબો અને કાર્ડધારકોમાં ભારે દેકારો બોલી ગયો છે.
રાજકોટ શહેર અને જિલ્લાના રેશનીંગના વેપારીઓ પાસેથી દર વખતે પુરવઠા તંત્ર દ્વારા એડવાન્સમાં ખાંડ, તેલ, તુવેર દ્ાળ સહિતના જથ્થાની ફાળવણી માટેના પૈસા ઉઘરાવી લેવામાં આવે છે. જેમાં અગાઉ છ મહિના સુધી તુવેર દાળના જથ્થાના એડવાન્સમાં નાણા ઉઘરાવી લીધા બાદ માત્ર બે મહિના જ 50 ટકા જ તુવેરદાળનો જથ્થો ફાળવ્યો છે ત્યારે આ વખતે ખાંડનો જથ્થો નહીં ફાળવતાં હવે ગરીબોને તુવેર દાળની જેમ ખાંડના જથ્થાથી પણ વંચિત રહી ગયા છે.