For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સર્જરી પહેલાંના કોમ્પ્લિકેશનથી દર્દીના મૃત્યુ માટે ડોકટર જવાબદાર નહી

11:57 AM Dec 29, 2023 IST | Bhumika
સર્જરી પહેલાંના કોમ્પ્લિકેશનથી દર્દીના મૃત્યુ માટે ડોકટર જવાબદાર નહી

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે ડોક્ટરોને રાહતરૂૂપ એક ચુકાદો આપતાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં ઠરાવ્યું છે કે, સર્જરી કરતાં પહેલાંના કોઇ કોમ્પ્લિકેશન્સના પગલે દર્દીનું મૃત્યુ થાય તો એ માટે ડોક્ટરને આઇપીસીની ધારા 304અ(બેદરકારીથી મૃત્યુ નિપજાવવા)ના જવાબદાર ઠરાવી શકાય નહીં.
પ્રસ્તુત કેસમાં હાઇકોર્ટે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 9 વર્ષ પહેલાં ડોક્ટર વિરુદ્ધ નોંધાયેલી એફઆઇઆર સહિતની ફોજદારી કાર્યવાહીને રદ કરવાનો હુકમ કર્યો છે. અરજદાર વિનોદકુમાર ચંદનલાલ ગૌતમે હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી. જેમાં તેમની વિરુદ્ધ ચાંદખેડા પો.સ્ટે.માં નોંધાયેલી ફરિયાદ સહિતની કાર્યવાહીને રદ કરવાની માગ કરાઇ હતી. તેમના તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારે કોઇ બેદરકારીભર્યું કૃત્ય કર્યું જ નથી. મૃતક મહિલા સ્પાઇનની સર્જરી માટે અરજદારની હોસ્પિટલમાં દાખલ થયા હતા અને એનેસ્થેટિક ડોક્ટરે મેડિકલ પેપર્સ ચકાસ્યા બાદ દર્દીને એનેસ્થેસિયા આપીને ઓપરેશન કરવાનો અભિપ્રાય આપ્યો હતો. જોકે ડોક્ટર સર્જરી કરે એ પહેલાં એનેસ્થેસિયા આપ્યાના બાદ દર્દીને શ્વાચ્છોશ્વાસમાં તકલીફ શરૂૂ થઇ હતી. તેથી તેને આઇસીયુની અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું. પીએમ રિપોર્ટમાં પણ સ્પષ્ટ થયું હતું કે મહિલા દર્દીનું મૃત્યુ રેસ્પિરેટરી અરેસ્ટના પગલે થયું હતું, નહીં કે સર્જરી દરમિયાનના કોમ્પ્લિકેશનના લીધે. અરજદાર ડોક્ટર દ્વારા સર્જરી પહેલાંની તકલીફોને જોતા સર્જરી કરવામાં જ આવી નહોતી અને પીએમ રિપોર્ટમાં પણ સર્જરી કરાયાના કોઇ નિશાન નથી. આ મામલો કમિટી સમક્ષ ગયો હતો અને એમણે પણ ડોક્ટર તરફથી કોઇ બેદરકારી થઇ હોવાનો અભિપ્રાય આપ્યો નથી. તેથી અરજદારની બેદરકારીના લીધે દર્દીનું મોત થયું હોવાનું ઠરાવી શકાય નહીં. બીજી તરફ ફરિયાદી તરફથી ડોક્ટરને બેદરકારી માટે જવાબદાર ગણી તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવાની માગ કરી હતી.
બંને પક્ષોની રજૂઆત અને આવા સંદર્ભોમાં સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાને ધ્યાનમાં લેતાં જસ્ટિસ ભટ્ટે ઠરાવ્યું હતું કે,આ કેસના તમામ તથ્યો અને વિવિધ ચુકાદાને ધ્યાનમાં લેતાં પ્રથમદર્શીય એવું જણાય છે કે અરજદાર દ્વારા કોઇ સજાપાત્ર બેદરકારી દાખવાઇ નથી. એ તથ્ય પણ નિર્વિવાદ છે કે એવો કોઇ આક્ષેપ કરવામાં આવ્યો હોય કે અરજદાર દ્વારા સર્જરી કે ઓપરેશન કરાયું હોય અને એ દરમિયાન દર્દીનું મોત થયું હોય. ઉલટાનું દર્દીને એનેસ્થેસિયા અપાયા બાદ તકલીફ શરૂૂ થઇ હતી. તેથી જો કોઇ થોડી ઘણી બેદરકારી હોય તો એ એનેસ્થેટિસ્ટના ભાગે જાય. અરજદારને ફોજદારી કાયદા હેઠળ જવાબદાર ઠરાવી શકાય નહીં.
આઇપીસીની ધારા 304અ હેઠળ બેદરકારીના લીધે મૃત્યુ નિપજાવવાનો ગુનો બને છે. જોકે મેડિકલ પ્રોફેશનલ વિરુદ્ધ આ ધારા લગાડવા પૂર્વે તમામ આધાર-પુરાવા અને તથ્યોને ચકાસવા પડે. સુપ્રીમના બોમ્બે હોસ્પિટલ વર્સિસ આશા જયસ્વાલના કેસમાં ઠરાવાયું છે કે મેડિકલ બેદરકારીના મામલે જેકોબ મેથ્યુના કેસમાં સ્પષ્ટતા થયેલી છે અને એ મુજબ કોઇ સામાન્ય ભૂલ કે અકસ્માતને મેડિકલ પ્રોફેશનલની બેદરકારીનો પુરાવો ગણી શકાય નહીં. દરેક એવા કેસ કે જ્યા સારવાર સફળતાપૂર્વક ન થાય અને સર્જરી દરમિયાન દર્દીનું મોત થાય તેને આપમેળે મેડિકલ પ્રોફેશનલની બેદરકારી ગણી લેવાય નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement