મંત્રીમંડળના ફેરફારને મોદી મારશે મતું?
રાત્રે રાજભવનમાં ભાજપ સરકાર અને સંગઠનના નેતાઓ સાથે બેઠકમાં અંતિમ સ્વરૂપ અપાયાની ધારણા
વડાપ્રધાન મોદી ગઈકાલથી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે છે ત્યારે વધુ એક વખત ગુજરાતના પ્રધાન મંડળમાં ફેરફાર અને ઉચ્ચ અધિકારીઓની બદલીની અટકળો વહેતી થઈ છે. ગઈકાલે રવિવારે વડાપ્રધાન મોદી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ એરપોર્ટથી વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેવાના બદલે સીધા જ રાજભવન પહોંચી જતાં અને ગુજરાત સરકાર તથા સંગઠનના ટોચના નેતાઓ સાથે મુલાકાત યોજતા ફરી એક વખત ગુજરાતના પ્રધાન મંડળમાં ફેરફારો તોળાઈ રહ્યાની અટકળો વહેતી થઈ છે.
ગઈકાલે વડાપ્રધાન મોદીનો એરફોર્સ સ્ટેશનની મુલાકાતનો કાર્યક્રમ અગાઉથી નક્કી કરાયેલ હતો અને તેમને અમદાવાદ એરપોર્ટથી વડસર લઈ જવા માટે હેલીકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ કરી વડાપ્રધાન સીધા જ રાજભવન પહોંચ્યા હતાં. સુત્રોના પહેવા મુજબ રાજભવનમાં મોડી રાત સુધી ભાજપના પ્રદેશ નેતાઓ અને સરકારના મુખિયાઓ સાથે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. આ બેઠકોમાં મહદઅંશે મંત્રી મંડળના ફેરફારો તેમજ ટોચના પોલીસ અધિકારીઓની બદલી અંગે ચર્ચા થયાનું માનવામાં આવે છે.
સુત્રોના કહેવા મુજબ વડાપ્રધાનની હાજરીમાં પ્રધાનોના ખાતા બદલવાથી માંડી કેટલાક પ્રધાનોને છુટા કરવા અને કેટલા પ્રધાન નવા લેવા ? તે અંગે ચર્ચા થયેલ છે તે જોતા આગામી દિવસોમાં ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ આવે તેવી શકયતા દર્શાવવામાં આવી રહી છે.