સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન
હનુમાનજીને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્કવાળા વાઘા અને સેવંતીના ફૂલોનો શણગાર: 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે હનુમાનજી પર પુષ્પવર્ષા
શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 177 મો વાર્ષિક પાટોત્સવ ગત તા.11ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને ચાંદીનો મુકુટ-હાર અને વૃન્દાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા એવં સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી દ્વારા, 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા તેમજ અભિષેક અને અન્નકૂટ આરતી લાલજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.ત્યારબાદ મારુતિયજ્ઞી પૂર્ણાહુતિ બપોરે કરવામાં આવી હતી.
સાંજે 04:30 કલાકે કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવ્યા હતાં. પુષ્પવર્ષા કરવામાં આવી. દાદાની દિવ્ય સંધ્યા આરતી 7:00 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
મહત્વનું છે કે શ્રી સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે.ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિતથાય છે. વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે. 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા પણ જોવાલાયક બની જાય છે.