જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્રનું કાઉન્ટ ડાઉન શરૂ
કલેકટરે ભવનાથ તળેટી, દામોદર કુંડ, પાર્કિંગ સ્થળો, ટ્રાફિક પોઇન્ટ સહિતના સ્થળની મુલાકાત કરી: સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી
જૂનાગઢ મહાશિવરાત્રીના મેળા સંદર્ભે ભવનાથ તળેટી સહિત મેળાના વિસ્તારની જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ આજે સ્થળ મુલાકાત કરી જરૂૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ભાવિકોની સુવિધાને અગ્રતા આપવા કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરએ મજેવડી ગેઇટ, ભરડાવાવ, વાઘેશ્વરી મંદિર પાસેનું ગ્રાઉન્ડ, ગિરનાર દરવાજા, ભવનાથ પોલીસ સ્ટેશન પાસેનો વિસ્તાર, રવેડી રૂૂટ તેમજ ભવનાથ વિસ્તારની મુલાકાત કરી, યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે સંબંધીત અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત કલેક્ટરશ્રીએ ભવનાથ મહાદેવના દર્શન કરવાની સાથે મૃગીકુંડ ખાતેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
અગાઉના વર્ષોના અનુભવ, મેળા દરમિયાન ધ્યાનમાં આવેલી બાબતોને લક્ષમાં રાખીને સુવિધાને અગ્રતા આપવા પણ જણાવ્યું હતું.કલેકટરએ મહાશિવરાત્રીના મેળા સંદર્ભે પૂર્વ તૈયારીઓ અન્વયે ભવનાથ વિસ્તારની મુલાકાત કરી રસ્તા, સાફ સફાઈ, પીવાના પાણીની સુવિધાઓ, ટ્રાફિક નિયમન તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ બાબતે સંલગ્ન અધિકારીઓ સાથે જરૂૂરી પરામર્શ કર્યો હતો. પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને કોમ્યુનિકેશનમાં સુદ્રઢ વ્યવસ્થા અને રાઉન્ડ ધ ક્લોક કામગીરી માટે જણાવ્યું હતું. આ સ્થળ વિઝીટમાં મ્યુ.કમિશનર શ્રી ઓમ પ્રકાશ, નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેક્ટર એન.એફ.ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર ઝાપડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.