રામકૃષ્ણ આશ્રમ દ્વારા 6000થી વધુ લોકોને ભોજન વિતરણ
રાજકોટમાં ભારે વરસાદ બાદ વિવિધ આશ્રયસ્થાનો પર રખાયેલા લોકોને સામાજિક સેવાની સંસ્થાઓ દ્વારા ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે રામકૃષ્ણ આશ્રમ- રાજકોટ દ્વારા અવિરત ભોજનસેવા ચાલુ છે. આશ્રમ દ્વારા છેલ્લા ચાર દિવસમાં આશરે 6000થી વધુ લોકોની ભોજનસેવા કરવામાં આવી છે.
રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, આશ્રમ દ્વારા વરસાદ વચ્ચે 2500 લોકોને ખીચડી ઉપરાંત 2000 કોરા નાસ્તાના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. એ પછી પણ ભોજનની સેવા સતત ચાલુ છે. અસરગ્રસ્તોને અત્યાર સુધીમાં 8000 થેપલા ઉપરાંત 450 કિલો ગાંઠિયા તેમજ ચવાણું, મસાલા ભાત વગેરે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર દિવસમાં કુલ મળીને આશરે 6,000થી વધુ લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્ય હજુ પણ ચાલુ છે.
આગામી દિવસોમાં સ્થળાંતરિત લોકોને તાલપત્રી તેમજ રાશનકિટ વિતરણ કરવાનું પણ આયોજન છે. તેમણે ઉમેર્યું હતું કે, ફૂડ પેકેટસ તેમજ ભોજન સામગ્રી માટે સંસ્થાના સ્વયંસેવકો, ભક્તો તરફથી વિશેષ સહયોગ મળી રહ્યો છે. રામકૃષ્ણ આશ્રમ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે અપવાસ-એકટાણાં કરતા રાજકોટના શિવભક્તોનો વિશેષ ખ્યાલ રાખીને તેમને ફરાળી ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહયું છે. અને અસરગ્રસ્તોની ધાર્મિક ભાવનાનો પણ ખ્યાલ રાખવામાં આવી રહયો છે.
રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના સંત દર્પહાનંદજીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ભારે વરસાદ શરૂૂ થતા અસરગ્રસ્ત લોકો માટે પ્રથમ દિવસથી જ ભોજન સેવા શરૂૂ કરી દેવામાં આવી છે. જેમાં 27મી ઓગસ્ટ સવારે આશરે 600 જેટલા લોકોને ખીચડી વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 27મીએ સાંજે વરસાદ વચ્ચે આશરે 500 લોકોને ગરમ ભાત તેમજ લાડુ-નમકીનના પેકેટ, ઉપરાંત થેપલા સહિતનું ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું.
28મી સવારે 1000 કોરા નાસ્તાના પેકેટ તેમજ થેપલા-શાક- અથાણાના 600 પેકેટ તેમજ 600 જેટલા લોકોને ખીચડી વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત ગાંઠિયા તેમજ કોરો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. 28મીએ સાંજે ખીચડી-થેપલા વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગાંઠીયા, થેપલા વગેરેના પેકેટ સવારના નાસ્તા માટે આગોતરા જ આપી દેવામાં આવ્યા હતા.
29મીએ સવારે આશરે 700 લોકોને ખીચડી ઉપરાંત 150 કિલો ગાંઠિયા, દાબેલા ચણા તેમજ થેપલા-અથાણાના 450 ફૂડ પેકેટ- નાસ્તા પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.29મીએ સાંજે 500 થેપલા ઉપરાંત 800 જેટલા લોકોને મસાલા ખીચડી તેમજ લાડુ-ચવાણાના 1000 પેકેટ તેમજ 300 કિલો ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ભોજન સેવાના કાર્યમાં રામકૃષ્ણ આશ્રમના 20 સંતો તેમજ 25થી 30 સ્વયંસેવકો ખડે પગે કામ કરી રહ્યા છે. જ્યારે સંસ્થા સાથે જોડાયેલી 50થી 60 જેટલી બહેનો થેપલાની સેવા આપી રહી છે. અમારા કાર્યમાં સંસ્થાના સ્વયંસેવકો તેમજ અન્ય ભક્તોનો પણ અમને પૂરતો સહયોગ મળી રહ્યો છે.