દ્વારકામાં બ્રહ્મકુંડ પાસેની ઇમારત જર્જરિત: દુર્ઘટનાનો ભય
ઇમારતમાં સાત ભાડૂઆતો ઉપર જીવનું જોખમ, નગરપાલિકા ઘોર નિદ્રામા
દ્વારકામાં દ્વારકાધીશના જગતમંદિરની તદન નજીક પોષ વિસ્તાર ગણાતા એવા બ્રહમકુંડ વિસ્તારમાં વર્ષો જુનું ભાડુઆતી રહેણાંકનું જર્જરીત બિલ્ડીંગ આવેલ છે જેમાં આશરે 15 જેટલા ભાડુઆતો રહેતા હતા પરંતુ જર્જરીત બિલ્ડીંગને લઈને હાલ માત્ર છ થી સાત ભાડુઆતો જ રહે છે અને રહેવા માટે અન્ય વિકલ્પ ન હોવાના કારણે ભયના ઓથાર હેઠળ જીવન પસાર કરી રહયા છે. મોટાભાગના ભાડુઆતો પોતાનો જીવ બચાવવા અન્ય જગ્યાએ રહેવા જતાં રહયા છે ત્યારે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા ભાડુઆતને નોટીસ આપી અને સૂચનો આપી સંતોષ માની રહયાનું જાણવા મળેલ છે.
દ્વારકા નગરપાલિકા તંત્ર દ્વારા મકાનમાં રહેતા ભાડુઆતને નોટીસ આપેલ કે નોટીસ મળ્યે દિવસ ત્રણમાં આ જર્જરીત બિલ્ડીંગનો ભાગ ઉતારી લેવો પરંતુ આ વાતને આશરે છ માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં જર્જરીત બિલ્ડીંગ જૈસે થે સ્થિતિમાં છે. પાલિકાનું ભ્રષ્ટાચારી તંત્ર માત્ર કાગળ પર નોટીસ ફટકારી સંતોષ માની લે છે. હાલમાં ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે અચાનક ભારે પવન સાથે વરસાદ આવે તો આ જર્જરીત બિલ્ડીંગ ધરાશાયી થવાની પુરી શક્યતા દેખાઈ રહી છે.
આશરે ચાર માસ પહેલા જર્જરીત બિલ્ડીંગમાં રહેતા ભાડુઆતો દ્વારા બિલ્ડીંગ મરામત અંગે સ્થાનીક વકીલના માધ્યમથી લીગલ નોટીસ મકાન માલીકને તથા દ્વારકા નગરપાલિકાને પાઠવવામાં આવેલ છે. આ નોટીસને ચાર માસ જેટલો સમય થવા છતાં કાર્યવાહીના નામે મીંડુ છે અને મકાન માલીક તથા નગરપાલિકાના સંબંધિત અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે મકાન માલીકને જર્જરીત બિલ્ડીંગ આપમેળે ધરાશયી થાય અને ભાડુતો પોતાની રીતે ત્યાંથી ભાગી જાય તેની રાહ જોતા હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહયું છે.