ધાનેરા ધણધણ્યું: વિભાજન સામે મરતે દમ તક લડી લેવા નિર્ધાર
સજ્જડ બંધ, જનઆક્રોશ સભામાં પક્ષીય ભેદભાવ વગર આગેવાનો-લોકો ઊમટ્યા, ઉગ્ર આંદોલનની ચીમકી
બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરાને નવા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા છેલ્લાં 20 દિવસથી ધાનેરાના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ધાનેરામાં સજ્જડ બંધનું એલાન આપી વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો છે. તો ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે ધાનેરા સજ્જડ બંધ રાખીને લોકો જન આક્રોશ સભામાં જોડાયા હતાં. જન આક્રોશ સભામાં ગામડાઓ માંથી મોટી સંખ્યામાં લોકો ટ્રેકટરો લઈને ઉમટી પડ્યા છે. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, ભાજપના પૂર્વ ધારાસભ્ય પુરોહિત, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ જોડાયા હતા. તો ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા યોજાયેલ જન આક્રોશ સભામાં લોકો સરકાર સામે વિરોધ વ્યક્ત કરીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે.
વેપારીઓ કહી રહ્યા છે કે અમારે માલ સામાન સહિતના વિવિધ કામો માટે બનાસકાંઠા પાલનપુર અનુકૂળ છે જેને લઈને અમે વિરોધ કરી રહ્યા છીએ જો માંગ નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું. આ જન આક્રોશ સભામાં લોકોને લાવવા માટે 350 રિક્ષાઓ મફત સેવા આપી છે, જેને લઈને તમામ રિક્ષાઓ ઉપર જન આક્રોશ સભાના બેનરો લાગ્યા હતાં.
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરાને નવા વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરી દેતા ધાનેરાના સ્થાનિક લોકો આક્રોશીત બની છેલ્લા 20 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે ધાનેરાની બજારો સંપૂર્ણ બંધ રાખીને સ્થાનિક લોકો ,આગેવાનો અને નેતાઓએ બજારમાં ફરીને થરાદમાં નથી જવું તેવા સુત્રોચાર કર્યા હતા સ્થાનિક આગેવાનો અને નેતાઓ તેમજ વિવિધ સંગઠનના લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે અમારો સામાજિક અને આર્થિક વ્યવહાર પાલનપુર સાથે છે અમારે પાલનપુર થઈને અમદાવાદ અને ગાંધીનગર જવું સરળ પડે છે જોકે અમને ખોટી રીતે થરાદમાં ભેળવી દીધા છે અમે કોઈપણ ભોગે થરાદ જિલ્લામાં નહિ જઈએ ભલે અમારે ઉગ્ર આંદોલન કરવું પડે અથવા અમારે જીવ ખોવો પડે જો સરકાર નહિ સમજે તો અમે ગમે તે કરી મટીશું પણ થરાદ તો નહીં જ જઈએ.
ધાનેરમાં જન આક્રોશ સભામાં ધાનેરાના પુર્વ ધારાસભ્ય નાથાભાઇ પટેલે કહ્યું કે, ધાનેરાના તાણાવાણા પાલનપુર સાથે જોડાયેલા છે. થરાદની પાછળ માત્ર રણ અને પાકિસ્તાન છે. પાણી માટે ધાનેરાને કમાન્ડમાં નથી લીધો, તો પાણી કંઇ રીતે મળશે. ધાનેરાને તળાવ ભરવાના વાયદા કરાય છે પણ કોઇ તળાવ નક્શામાં નથી. સરકાર જાડી ચામડીની છે, હજુ વધારે કાર્યક્રમ આપવા પડે તો તૈયાર રહેજો. સંઘ અને કોંગ્રેસને કોઇ લેવા દેવા નથી, છતાં અમે ધાનેરા માટે એક મંચ પર છીએ. ધાનેરાને 500 કરોડનું રોડનું વચન આપ્યું પણ ફાઇલ ક્યાં ગઇ એ ખબર નથી. આ લોકોની કરણી અને કથનીમાં ફરક છે.
તો ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ કહ્યું કે, ધાનેરા તાલુકાની પ્રજા નવાબી શાસનથી પાલનપુર સાથે જોડાયેલી છે. આને તોડી અલગ કરવાનું કોઈએ દુસાહસ કરવાનું કામ કર્યું છે. ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા આયોજીત આ જન આક્રોશ રેલીમાં 80 વર્ષના પુર્વ ધારાસભ્ય હાજર છે. ભાજપમાં જન સંઘ સમયથી તેઓ સક્રિય રહ્યા છે અને આજે ધાનેરા માટે લડી રહ્યા છે. સરકારને ગેર માર્ગે દોરી વિભાજન થયું છે. વિભાજનમાં નવા જિલ્લામાં ઓછા તાલુકામાં હોય અને જુના જિલ્લામાં વધારે જિલ્લા છે. નવા થરાદ વાવ જિલ્લામાં વધારે તાલુકા ભેળવી સરકારને ગેર માર્ગે દોરી રહી છે. આ વાત સરકારના ધ્યાને આવી છે.
જો ઓગડ જિલ્લો બન્યો હોત તો બંને જિલ્લાને સાત તાલુકા મળત. ધાનેરાના સામાજીક આર્થિક, આરોગ્ય અને શિક્ષણ લક્ષી તાણા વાણા પાલનપુરથી જોડાયેલા છે. ધાનેરા સૌથી મોટો દુધ ઉત્પાદક તાલુકો હોવા છતાં પાણીની અહી વિકરાળ સમસ્યા છે. આ વિભાજન ધાનેરા માટે દુખની ઘડી અમારા માટે સૌથી મોટી આફત સમાન છે. સરકાર આ અંગે ધ્યાન લે. જે આંદોલન હિત રક્ષક સમિતિ આયોજન કરશે એમાં એક થઇ કામ કરીશું. સરકાર આપણી માંગ સ્વીકારશે એવી અપેક્ષા છે.
અમને પાકિસ્તાનમાં મૂકી દો
ભાજપના પુર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે કહ્યું કે, ધાનેરાના લોકો સરકારના નિર્ણયથી ખુબ દુખી છે. પ્રતિક ઉપવાસ રૂૂપી ભુખ હડતાળ કરી બંધ પાળ્યું, બાઇક રેલી કરી પણ સરકારને નથી સંભળાતું. મારી વાતને ટપકા કરી મુકાવામાં આવી હતી. ફરી કહું છું જો અમે ન ગમતા હોવ તો અમને પાકિસ્તાનમાં મૂકી દો ત્યાં મરીશું. અર્બુદા સેનાના લોકો વીડિયો તોડી મરોડીને ચલાવાય છે. હું ક્યારે પક્ષાપક્ષીમાં માનતો નથી, 18 વર્ણને સાથે લઇને ચાલું છું.