ડેન્ગ્યુનો હાહાકાર: ધો.12ના છાત્રનું મોત
ઓરિસ્સાનો યુવક રાજકોટમાં કામ કરતાં પિતા પાસે બે મહિનાથી આવ્યો’તો : 4 દિવસથી ડેન્ગ્યુમાં સપડાતા સારવારમાં હતો
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે વરસાદને પગલે મચ્છરજન્ય રોગચાળામાં ચિંતાજનક વધારો થયો છે. ઠેર-ઠેર પાણી ભરતા મચ્છરોનો ત્રાસ વધવાને પગલે રાજ્યભરમાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. રાજયમાં ડેન્ગ્યુના 345 જેટલા કેસ આરોગ્યના ચોપડે નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ડેન્ગ્યુથી ત્રણ બાળકો અને સુરતમાં એક મહિલા સહિત ચારના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
જ્યારે રાજકોટમાં પણ ડેન્ગ્યુએ હાહાકર મચાવ્યો હોય તેમ ધો.12ના છાત્રનો ભોગ લેવાતા લોકોમાં ભયની લાગણી ફેલાઇ જવા પામી છે. મૂળ ઓડીશાનો વતની યુવાન રાજકોટમાં કામ કરતા તેના પિતાને ઘરે બે મહિનાથી આવ્યો હતો. જે ચાર દિવસથી ડેન્ગ્યુમાં સપડાયા બાદ સારવાર તેનું મોત નીપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, મૂળ ઓડીશાનો વતની અજુ રમેશભાઇ સુના (ઉ.વ.22)નામનો યુવાન રાજકોટમાં કાલાવડ રોડ પર અવધના ઢાળ્યા પાસે રહેતા તેના પિતા પાસે બે મહિનાથી આવ્યો હતો. દરમિયાન અઠવાડિયા અગાઉ તેની તબીયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ચાર દિવસ પહેલા નિધાન થતા તેને ડેન્ગ્યુ થયાનું ખોલ્યુ હતું. જેથી તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.
જો કે, સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને આજે સવારે તેનું મોત નીપજ્યુ હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક અજુ ઓડીશામાં રહી ધો.12માં અભ્યાસ કરતો હતો. તે ત્રણ ભાઇમાં વચેટ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી યુવાન પુત્ર ગુમવતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.]
મવડી ચોકડી પાસે વૃદ્ધાનો ઝેર પી આપઘાત
મવડી ચોકડી પાસે આવેલી રાજદિપ સોસાયટીમાં રહેતા મુક્તાબેન રમેશભાઇ કોરીયા (ઉ.વ.68)નામના વૃદ્ધાએ આજે સવારે પોતાના ઘરે એસીડ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.