ઘનશ્યામનગરમાં 18 મકાન-છાપરાનું ડિમોલિશન
મહાનગરપાલિકા દ્વારા ચોમાસુ સત્ર હોવાના કારણે જે મિલ્કતોમાં વસવાટ હોય તેનું ડિમોલીશન બંધ રાખવામાં આવ્યું છે. પરંતુ સરકારી જમીન ઉપર તેમજ રોડ-રસ્તા પર નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કમિશનરની સુચના અનુસાર આજે વોર્ડ નં. 17માં ઘનશ્યામ નગર વિસ્તારમાં આવાસ યોજનાના હેતુ માટે અનામત રાખવામાં આવેલ પ્લોટ ઉપર થઈ ગયેલા અંદાજે 18થી વધુ કાચા-પાકા મકાનો તેમજ છાપરાનું ડિમોલીશન કરી 3500 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હ તી. જેની અંદાજીત કિંમત 18 કરોડ થવા જાય છે તેમ ટાઉન પ્લાનીંગ વિભાગે જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડી.પી. દેસાઈની સૂચના અનુસાર નાયબ કમિશ્નરશ્રી એચ.આર. પટેલ તથા એડી. સીટી એન્જીનીયર શ્રી એ. એ. રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.02/08/2024ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.17માં ઘનશ્યામ નગર વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.5 (રાજકોટ), એફ.પી.નં. 253 (એસ.ઈ.ડબ્લ્યુ.એસ.એચ.) હેતુના અનામત પ્લોટની કુલ જમીન ચો.મી. 25,159માં થયેલ ગેરકાયદેસર બાંધકામ પૈકી અંદાજે 3,500 ચો.મી. જમીનમાં તાજેતરમાં થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરી, અંદાજે 18 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા, એ.એન.સી.ડી. વિભાગ તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.
ટાઉન પ્લાનીંગ વિભાગના જણાવ્યા મુજબ રહેણાક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો હોય પરંતુ તેમાં લોકોનો વસવાટ હોય ત્યારે ચોમાસા દરમિયાન ડિમોલીશન ન કરવાની હાઈકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે. પરંતુ સરકારની માલીકીના પ્લોટ ઉપર થયેલા તેમજ નવા બંધાઈ રહેલા કે જેમાં હજુ સુધી લોકો રહેવા ન આવ્યા હોય તેવા બાંધકામો દૂર કરવાની મંજુરી આપવામાં આવી છે. જે અંતર્ગત આગામી દિવસોમાં પણ અનામત પ્લોટ ઉપર થયેલા બાંધકામોનું ડિમોલીશન ચાલુ રાખવામાં આવશે.