જામનગરમાં ગેરકાયદે 116 મકાન-દુકાન સહિતના દબાણોનું ડિમોલેશન
ત્રણ વિસ્તારમાં 50000 ફૂટ જગ્યા દબાણ મુકત કરાવતી મહાપાલિકા: 12 જેસીબી, 3 હિટાચી મશીન દ્વારા બાંધકામ તોડી પડાયું: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
જામનગર મહાનગરપાલિકા દ્વારા રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને લઈને કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂૂપે આજે સવારે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને જુદા જુદા ત્રણ વિસ્તારમાં આવેલા 116 જેટલા મકાનો- દુકાનો સહિતના દબાણો દૂર કરીને અંદાજે 50,000 ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને તેમાં મહાનગર પાલિકાના અધિકારીઓની મોટી ટીમ અને 200 થી વધુ સ્ટાફ ઉપરાંત સીટી એ. ડિવિઝન નો મહિલા પોલીસ સહિત નો વિશાળ પોલીસ કાફલો જોડાયો છે, અને મેગા ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પટ્ટનો વિસ્તાર, કે જેમાં અલગ અલગ ત્રણ વિસ્તારો કે જ્યાં મહાનગરપાલિકાની સરકારી જગ્યામાં ગેરકાયદે રહેણાંક મકાન- દુકાનો વગેરે ખડકી દેવાયા હતા, જે પૈકી નદીના પટના ત્રિકોણીય વિસ્તારમાં અંદાજે 57 જેટલા મકાનો ખડકાયેલા હતા. જે તમામને અગાઉથી નોટિસ આપીને જગ્યા ખાલી કરી દેવા માટેની સુચના અપાઇ હતી. ત્યારબાદ આજે સવારે દિમોલેશન શરૂૂ કરી દેવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ના સીધા માર્ગદર્શન હેઠળ ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની ની રાહબરી હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ શાખા ની ટીમ, ટીપીઓ શાખા ની ટીમ, ફાયર વિભાગની ટુકડી વગેરે મળી 200 થી વધુ કર્મચારીઓ આજના મેગા ડીમોલેસનમાં જોડાયા હતા, અને અલગ અલગ ત્રણ ટીમો બનાવાઈ હતી.સમગ્ર ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવા માટે 12 જેસીબી મશીનો, 3 હિટાચી મશીન, ટ્રેક્ટર સહિતની મશીનરીના ઉપયોગ કરવામાં આવ્યો છે, અને વહેલી સવારથી પાડતોડની કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી છે. જે ત્રણેય સ્થળે સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ.ચાવડા ની રાહબરી હેઠળ મોટો પોલીસ કાફલો બંદોબસ્ત માં જોડાયો છે જેમાં મહિલા પોલીસની પણ મોટી ટીમ સાથે રાખવામાં આવી છે.
જેમાં એક સ્થળે 47 મકાનોનું દબાણ ખુલ્લું કરાવાઈ રહ્યું છે, જ્યારે બીજા સ્થળે 16 દુકાનો સહિત 46 જેટલા બાંધકામો ને તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે ત્રીજા સ્થાને 23 મકાનો પર મહાનગરપાલિકા નો હથોડો વીંઝવામાં આવ્યો છે, અને અંદાજે 50,000 ફૂટથી વધુ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.