સાયબર ક્રાઇમના કેસો વધતા નવી કોર્ટની રચના કરવા હાઇકોર્ટમાં માંગ
સાયબર ઠગો વિવિધ તરકીબ અજમાવીને નિર્દોષ લોકો સાથે ઠગાઈ કરી રહ્યાં છે. ક્યાંક લલચામણી ઓફરના મેસેજ મોકલે છે, તો ક્યાંક ફોન કોલ કરીને ઓટીપી અથવા તો કેવાયસીની વિગતો મેળવી લે છે. કેટલાંક કિસ્સામાં ખોટી લીંક મોકલી નિર્દોષ બેંક ખાતેદારના ખાતામાંથી નાણાં ઉપાડી લે છે. સાયબર ક્રાઈમ દ્વારા ભોગ બનેલાઓની ફરિયાદ લઈને સાયબર ગઠીયાઓ સામે કેસ પણ કરી રહી છે. જો કે, આજદિન સુધી એકપણ ગઠિયા સામે કોર્ટમાં કેસ પુરવાર થયો નથી. ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના ચેક રિટર્નના કેસોનો ભરાવો થતા પાંચ નવી કોર્ટો બનાવી પડી છે તેમ સાયબરના કેસોનો ભરાવો થતા પાંચ નવી કોર્ટો બનાવવા માટે ગુજરાત બાર કાઉન્સીલના સભ્ય ગુલાબખાન પઠાણે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટર જનરલને લેખિતમાં માંગણી કરી છે.
પઠાણે લખેલ પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, સાયબરના ભોગ બનેલા તેમની રકમ પરત લેવા માટે બેંક જાય ત્યારે કોર્ટનો હુકમની માંગણી કરતી હોય છે. આ પછી સાયબરના ભોગ બનેલા કોર્ટમાં જાય તો પહેલા અરજી કરવી પડે છે, પછી સાયબર ક્રાઈમનો રિપોર્ટ રજૂ કર્યા બાદ ર્કોર્ટ હુકમ કરતી હોય છે. જેમાં દોઢી રકમના બોન્ડ આપવા પડે છે. અત્યાર સુધી અમદાવાદની કોર્ટોમાં આશરે 40 હજારથી વધુ અરજીઓ બેંકમાં ફીઝ થયેલા નાણાં પરત લેવા માટે અરજી થઈ છે. આમ સાયબરના ભોગ બનેલા બેંકમાંથી તમામ રકમ જતી રહ્યા બાદ પરત લેવા તેમને ધક્કાઓ ખાવા પડે છે.