For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્ટએટેકનો હાહાકાર : નિવૃત્ત અધિકારી સહિત 7ના શ્ર્વાસ થંભી ગયા

04:22 PM Aug 05, 2024 IST | admin
હાર્ટએટેકનો હાહાકાર   નિવૃત્ત અધિકારી સહિત 7ના શ્ર્વાસ થંભી ગયા

બે યુવક, પરિણીતા, આધેડ અને ત્રણ વૃધ્ધને હૃદયરોગનો હુમલો આવતા મોત

Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં પાણી પુરવઠાના નિવૃત્ત કલાસ-1 વન અધિકારી સહિત 7 વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે. હૃદયરોગના હુમલાનો ખતરો વધતાં લોકો અને તંત્રમાં ચિંતા પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં ગોંડલ રોડ પર એસ.ટી.વર્કશોપની પાછળ આવેલી એસ.ટી.સ્ટાફ કોલોનીમાં રહેતા અરવિંદભાઈ નાગરદાસભાઈ રોજાસરા (ઉ.78) સવારના 7.30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે બેફાન હાલતમાં ઢળી પડયા હતાં. વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક અરવિંદભાઈ રોજસરા ત્રણ ભાઈમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અરવિંદભાઈ સુરેન્દ્રનગર ખાતે પાણી પુરવઠા વિભાગમાં કલાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવતાં હતાં અને હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યાં હતાં.

Advertisement

બીજા બનાવમાં શહેરની ભાગોળે આવેલા ઢાંઢણી ગામે રહેતા હંસરાજભાઈ દેવરાજભાઈ કડવાણી નામનો 34 વર્ષનો યુવાન વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું.ત્રીજા બનાવમાં વાંકાનેરમાં રહેતી સોફીયાબેન સિકંદરભાઈ મીર નામની 38 વર્ષની પરિણીતા કોઠારીયા ગામે રહેતા તેના પિતાના ઘરે હતી ત્યારે બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે તેણીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં માતમ છવાયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક સોફીયાબેન મીરને પાંચ દિવસ પૂર્વે પેરેલીસીસનો હુમલો આવતાં વાંકાનેરથી રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી અને રજા અપાતા પિતાના ઘરે રોકાઈ હતી.

ચોથા બનાવમાં જંકશન પ્લોટમાં રહેતા મજીદ સુલેમાનભાઈ જુણાજ (ઉ.35) પોતાના ઘરે હતો ત્યારે સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં હાર્ટએટેક આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં યુવકે હોસ્પિટલનાં બીછાને દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

પાંચમાં બનાવમાં રેલનગરમાં આવેલ મહર્ષિ ટાઉનશીપમાં રહેતા સુનિલકુમાર ભંડેરી (ઉ.52) પોતાના ઘરે હતાં ત્યારે સવારના નવેક વાગ્યાના અરસામાં હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ સારવાર કારગત નહીં નિવડતાં મોત નિપજ્યું હતું. મૃતક આધેડ ત્રણ ભાઈ અને એક બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. આધેડ સિકયોરિટી ગાર્ડમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં.

આ ઉપરાંત છઠ્ઠા અને સાતમાં બનાવમાં ગોંડલ રોડ પર સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા મુળ મુંબઈનાં હેમદાસભાઈ ગંગારામભાઈ કાકવાણી (ઉ.74) અને જામનગર રોડ પર ગાર્ડી કોલેજ પાસે આવેલા સદભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા મહેસાણાના નટવરલાલ બાબુલાલ હિંગુ (ઉ.82), સદભાવના વૃધ્ધાશ્રમમાં જ બેભાન હાલતમાં ઢળી પડતાં બન્ને વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં બન્ને વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement