હાર્ટએટેકનો હાહાકાર: ધો.4ના છાત્ર સહિત 7નાં મોત
રાજકોટના 10 વર્ષનો બાળક, બે યુવાન, પ્રૌઢ, પ્રૌઢા અને બે આધેડે હૃદયરોગનો હુમલો આવતા દમ તોડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ 24 કલાકમાં 10 વર્ષના બાળક સહિત સાત લોકોના હાર્ટ એટેકથી મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રણુજા મંદિર પાસે રહેતા અને ધો.4માં અભ્યાસ કરતો પૂર્વાગ નેમિશભાઈ ધામેચા નામનો 10 વર્ષનો માસુમ બાળક પોતાના ઘરે જમવા બેઠો હતો ત્યારે ઊલટી થતાં તે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. સારવાર મળે તે પીરવે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પૂર્વાગ ધામેચા ધો.4માં અભ્યાસ કરતો કરતો હતો. પૂર્વાગ ધામેચાને બે દિવસ ઝાડા ઊલટી હોવાથી ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. અને ત્યાં તબીબે ઇન્જેકશન આપી સારવાર આપી હતી. બાળકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનો તબીબોએ અભિપ્રાય આપ્યો છે.
બીજા બનાવમાં રાજકોટમાં જામનગર રોડ ઉપર રહેતા લિંગરાજ તનુભાઈ બીસી નામના 38 વર્ષના યુવકને હદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું. યુવકના મોતથી શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
ત્રીજા બનાવમાં જામનગર રોડ ઉપર દ્વારકાધીશ પેટ્રોલ પંપ પાછળ રહેતા જયરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા નામનો 32 વર્ષનો યુવાન સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો પ્રાથમિક પૂછપરછમાં જયરાજસિંહ રાણા બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.
ચોથા બનાવમાં કાલાવડ રોડ ઉપર ઇસ્કોન મંદિર પાછળ રહેતા કુસુમબેન કાંતિભાઈ પીઠવા (ઉ.વ.57) પોતાના ઘરે હતા. ત્યારે મધરાત્રે હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતક પ્રોઢાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
પાંચમાં બનાવમાં સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલા યાદવનગરમાં રહેતા રાજુભાઈ કાળુભાઈ કુચાણા નામના 47 વર્ષના પ્રૌઢ રૈયા રોડ ઉપર આવેલી કર્મચારી સોસાયટીમાં મજૂરી કામ માટે ગયા હતા. ત્યારે સાડા દસેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં રાજુભાઈ કુચાણા પાંચ ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
છઠ્ઠા બનાવમાં રાજકોટની ભાગોળે કુવાડવા ગામ પાસે રહેતા જગુભાઈ દાનાભાઈ ચૌહાણ નામના 50 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી જગુભાઈ ચૌહાણનું હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જગુભાઈ ચૌહાણ મૂળ અમરેલીના ચીતલ ગામના વતની હતા અને છૂટક મજૂરી કરતા હતા. જગુભાઈ ચૌહાણને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
સાતમા બનાવમાં ઢેબર રોડ ઉપર આવેલા નેહરુનગરમાં રહેતા સુરેશભાઈ કલુભાઈ ગૌતમ નામના 51 વર્ષના આધેડ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછ મૃતક સુરેશભાઈ ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અને ત્રણ ભાઈ બે બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.