વડોદરાના આતિથ્ય પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં મેનેજર અને સિક્યુરિટી ગાર્ડના મૃતદેહ આવ્યા સામે
વડોદરા શહેર નજીકના વેમાલી ગામે આવેલા આતિથ્ય પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં ભારે વરસાદના કારણે ભરાયેલા પાણી ઉલેચવા માટે નીચે ઉતરેલા મેનેજર અને સિક્યુરિટી જવાનના મોતની ઘટના સામે આવી. પ્રાથમિક દ્રષ્ટિએ બંનેના મોત કરંટ લાગવાથી થયા હોવાનું જાણવા મળ્યું છે.
મેનેજર અને સિક્યુરીટી ગાર્ડનું મોત
ઘટના બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મળતી માહિતી મુજબ મેનેજર મેનેજર મયૂર બલદેવભાઇ પટેલ, ઉં.વ.૩૪ અને સિક્યુરિટી જવાન સુરેશ ચંદુભાઇ પઢિયાર, ઉં.વ.૪૧ની લાશ બેઝમેન્ટના પાણીમાંથી મળી આવી હતી. પાણી ઉલેચવા માટે અંદર ઉતર્યા હતા અને તે દરમિયાન કરંટ લાગવાથી તેમના મોત થયાનું અનુમાન છે. જોકે મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે. મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ ટાંકે વધુમાં જણાવ્યું હતું કે બંનેના મૃતદેહ પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વધારે માહિતી મળતા જાણવા મળ્યું કે સેક્યુરીટી જવાન સુરેશ પઢિયારના સંબંધી સુનિલ પરમારે આક્ષેપ કરતા જણાવ્યું કે, સુરેશભાઇ રોજ રાતે પાર્ટી પ્લોટમાં જતા હતા. ગઇકાલે વરસાદ પડતો હોવાથી તેઓ ગયા ન હતા. રાતે મેનેજર મયૂર પટેલ તેઓને લેવા માટે ઘરે આવ્યા હતા. મયૂર પટેલે અમને કહ્યું હતું કે, માલિક અજય પટેલનું મારા પર દબાણ છે કે, પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં ભરાયેલું પાણી ખાલી કરો. જેથી, હું તમને લેવા માટે આવ્યો છું.તેના પર પાણી ખાલી કરવા બાબતે દબાણ કરવામાં હતું. સુનિલ પરમારે જણાવ્યું હતું કે, સુરેશભાઇના પત્ની પણ પાર્ટી પ્લોટમાં સફાઇની કામગીરી કરતા હતા. સુરેશભાઇ અને મેનેજર મયૂર પટેલ બંને મિત્રો હતા. જેથી, મેનેજરની વાત માનીને સુરેશભાઇ તેમની સાથે પાર્ટી પ્લોટ પર ગયા હતા. માલિકના પ્રેશરના કારણે જ સુરેશભાઇ અને મેનેજર મયૂર પટેલના મોત થયા છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અંતિમ સંસ્કાર નહી કરીએ. અમને સયાજી હોસ્પિટલમાંથી મૃતદેહ મળશે તો અમે તેને પરત પાર્ટી પ્લોટમાં લઇ જઇશું.આ રીતે ન્યાયની માંગ કરવા માં આવી છે.