રાહુલ ગાંધીની યાત્રાનો બીજો દિવસ: આદિવાસીઓ ઊમટી પડ્યા
- કંબોઇધામ ખાતે દર્શન કર્યા, જાહેરસભામાં આદિવાસી યુવકોની હકડેઠઠ મેદની
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને આજે તેનો બીજો દિવસ છે. ગઈકાલે ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ ઝાલોદમાં રાહુલ ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. ત્યારે આજે 8 માર્ચના રોજ યાત્રાનો પ્રારંભ દાહોદથી થશે. આજે ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરશે. રાહુલ ગાંધી સવારે કંબોઈ ધામ મંદિરે પહોંચ્યા હતા. તેમજ દાહોદમાં મહિલાઓએ ગરબે રમી ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું હતું. દાહોદ અને હાલોલ શહેરમાં રાહુલ ગાંધી પદયાત્રા પણ કરશે. આ દરમિયાન ઠેર- ઠેર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. ગોધરા અને હાલોલમાં રાહુલ ગાંધી કોર્નર મીટિંગમાં લોકો સાથે સંવાદ કરશે. આ યાત્રામાં સાંસદ જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર સહિતના આગેવાનો જોડાયા છે.
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દાહોદ નીકળી સંતરોડ ખાતે આવી પહોંચી છે. જ્યાં સંતરોડની પ્રજા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલ તો યાત્રા સંતરોડ મુકામે કલાક માટે રોકાઈ છે અને બે વાગ્યાની આસપાસ ગોધરા શહેરના પરવડી ચોકડી પાસે પ્રવેશી હતી.
દાહોદમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ છે. ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ કંબોઈ ધામમાં રાહુલ ગાંધી દર્શન કરવા પહોંચ્યા હતા. કંબોઈ ધામ આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. દાહોદ બસ સ્ટેન્ડ ખાતેથી રાહુલ ગાંધીની પદયાત્રા શરૂૂ થઈ હતી. સ્વામિ વિવેકાનંદ પ્રતિમા પાસે મહિલાઓએ ગરબે રમી અને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. આજે દાહોદ બાદ લીમખેડા યાત્રા પહોંચી હતી. જ્યા હજારો કાર્યકરોએ રાહુલગાંધીનું સ્વાગત કર્યું હતું. જે બાદ પીપલોદ ખાતે રાહુલ ગાંધીની યાત્રા પહોંચશે.
આજે દાહોદ બાદ ન્યાય યાત્રા ગોધરા ખાતે પહોંચશે. જ્યાં ગોધરામાં શિવ-ગણેશ મંદિરમાં રાહુલ ગાંધી પૂજા કરશે. ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી શિવ મંદિરમાં પૂજા કરશે.આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારીયાએ જણાવ્યું કે, લીમખેડામાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. દાહોદ લોકસભાની બેઠકમાં ભાજપના ઉમેદવારની હાર થશે. ભાજપે ઘણો ભષ્ટ્રાચાર કર્યો છે ભાજપની સરકાર તાનાશાહી છે, ત્યારે લોકો આ વખતે ભાજપની સરકારને જાકારો આપશે.
આપ-કોંગ્રેસનું ગઠબંધન-એ-દિલનું મિલન: શક્તિસિંહ ગોહીલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શક્તિસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, અમારો અંતિમ હેતુ શાસન નથી. ઈન્દિરા ગાંધી પોતે ચૂંટણી હાર્યા હતા છતાં ફરીથી ચૂંટાયા હતા. ગુજરાતમાં 2004, 2009માં અડધા એમ.પી. જીત્યા હતા. 2001-02માં અમદાવાદમાં અમારા મેયર બન્યા હતા. 2007માં બહુ ઓછી સીટથી સરકાર નહોતી બની શકી. 2017માં 17 ધારાસભ્ય ભાજપ છોડીને ગયા હતા. આપ અને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં ગઠબંધન થયું છે ત્યાં દળનું દિલનું મિલન છે. જ્યારે ભાજપ ગળા કાપે છે. ગુજરાતમાં લોકસભા ઉમેદવાર માટે નામ નક્કી કર્યા છે પણ યોગ્ય સમયે જાહેર કરીશું. ગેનીબેન એકલાએ પ્રચાર શરૂૂ કર્યો છે એમ નથી પણ તમામ લોકોએ પ્રચાર કરવાની શરૂૂઆત કરી દીધી છે. ઉમેદવાર હોય કે ન હોય , તમામ લોકો પ્રચાર કરે છે.