લાભ પાંચમે આપેલ ઇજાફો કમુરતામાં સ્થગિત
સરકારના કેટલાક નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોએ સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટમાં કરેલી અરજીના પગલે સરકારે 18 નવેમ્બરને લાભ પાંચમના દિવસે ગુજરાતના 2006 બાદ 30મી જુને નિવૃત થત કર્મચારી માટે જાહેર કરેલ ઇજાફો આજે કમુરતા ચાલુ થયાના દિવસે જ અટકાવી દેવા માટે હુકમ કર્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે સરકારે આ વર્ષે લાભ પાંચમના દિવસે ઠરાવ બહાર પાડયો હતો. જેમાં 1 જાન્યુઆરી 2006 બાદ દર વર્ષની 30 જુને નિવૃત્ત થયેલા અને હવે થનારા દરેક કર્મચારીઓ માટે એક નેશનલ ઇજાફો આપી તેમના પગાર ધોરણને આધિન પેન્શનની ગણતરી કરવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ 14 ડીસેમ્બરે નાણા વિભાગ દ્વારા અન્ય એક પરિપત્ર બહાર પાડીને અગાઉના ઠરાવને સ્થગિત કરવા માટે જણાવવામાં આવ્યું છે. હાલ એક મહીનામાં જ સરકાર દ્વારા ઠરાવ મૂલત્વી રાખવામાં આવતા પેન્શનરો અને કર્મચારીઓમાં પણ અચરજની લાગણી ફેલાઇ છે. રાજ્ય સરકારમાં ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ એવા છે, જેમની ચોક્કસ જન્મ તારીખ ન હોવાથી પ્રમાણિત જન્મ તારીખ 1 જૂન લખાઈ છે. આવા કર્મચારીઓ તેમની વયનિવૃત્તિના 58 વર્ષે 30 જૂને નિવૃત્ત થાય છે. સરકારમાં પગારના નિયમો અનુસાર પગાર ધોરણનો ઇજાફો 1 જુલાઈથી ગણતરી કરીને લાગુ કરવામાં આવે છે. જોકે આવા કર્મચારીઓ ઇજાફાની ગણતરી ધ્યાનમાં લેવાના એક દિવસ પહેલાં જ નિવૃત્ત થતા હોવાથી તેમણે નોકરી કરી હોવા છતા ઇજાફો મળતો ન હતો. સરકારે જાહેર કરેલા ઠરાવ અનુસાર આવા કર્મચારીઓ પૈકી જેમણે નિવૃત્તિ સમયે ફરજ બજાવેલી જગ્યા પર જ એક વર્ષની નોકરી કરીને વયનિવૃત્તિ મેળવી હોય તેમને જ આવો ઇજાફો મળવાપાત્ર થતો હતોફ પંચાયત સેવા, અનુદાનિત સંસ્થાઓના કર્મચારીઓને પણ આ નિર્ણય લાગુ પડતો હતો હવે આ નિર્ણય લેવાતા અભી બોલા અભી ફોક જેવો ઘાટ સર્જાયો છે.