શહેરમાં એલઆરથી લઈ એએસઆઈ સુધીના 278 પોલીસ કર્મીની આંતરિક બદલી કરતા સીપી
રાજકોટ શહેરમાં લોકસભાની ચૂંટણી પૂર્વે પીઆઈ, પીએસઆઈ બાદ હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ સહિત 60 પોલીસમેનની આંતરીક બદલી કરવામાં આવી હતી ત્યારે વધુ એક વખત શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ સહિતનાઓની બદલીઓના ઓર્ડરનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા 278 પોલીસ જવાનોની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, જે બદલીઓ કરવામાં આવી છે તેમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાંથી 15 પોલીસમેનોની ક્રાઈમ બ્રાન્ચમાં નિમણુક કરવામાં આવી છે. જેમની ક્રાઈમ બ્રાન્ચમાં નિમણૂક કરવામાં આવી છે. તેમાં થોરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ આર.બી.જાડેજા, તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ જલદીપસિંહ વાઘેલા, પ્રવીણભાઈ વસાણી, માલવિયાનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.જી.ઝાલા, એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઉમેશભાઈ આહીર, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જનકભાઈ કુંગસીયા,ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગોપાલભાઈ પાટીલ, ભક્તિનગર પોલીસ સ્ટેશનના પુષ્પરાજસિંહ ગોહિલ અને હરદેવસિંહ સહિતનાઓની ક્રાઈમ બ્રાન્ચમાં બદલીના ઓર્ડરો નીકળ્યા છે.
જ્યારે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા રાજદીપસિંહ ગોહિલ, કુલદીપસિંહ રાણા, જનકસિંહ ગોહિલની શહેરના અન્ય પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસમેનની શહેરના અન્ય પોલીસ સ્ટેશનમાં બદલીઓના પણ હુકમો થયા છે. જેમાં એસઓજીમાંથી ધર્મેન્દ્રસિંહની બદલી કરવામાં આવી છે.