60 હજારના પગારદાર પિતરાઈએ ખ્યાતિકાંડના કાર્તિક પટેલની 17 કરોડની લોન ભરપાઈ કરી
ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની થોડા દિવસ પહેલા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જે બાદ કોર્ટે તેના 10 દિવસની રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે, જેમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. કાર્તિક પટેલ વિદેશમાં હતો ત્યારે તેની 17 કરોડની લોન તેના પિતરાઈ ભાઈએ ભરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા મુજબ, કાર્તિક પટેલ વિદેશમાં હતો ત્યારે તેના પિતરાઈ ભાઈએ ખ્યાતિ રિયાલિટીની 9.70 કરોડ અને પર્સનલ લોન 7.33 કરોડ મળીને 17.03 કરોડની લોન ભરપાઈ કરી હતી. તેમનો પિતરાઈ ભાઈ ખ્યાતિ ગ્રુપમાં 60,000ના પગારથી નોકરી કરે છે. ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું.
વધુ એકનું સારવારમાં મૃત્યુ
ખ્યાતિ કેસમાં બોરીસણા ગામના વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 72 વર્ષીય પ્રૌઢનું અઢી મહિના બાદ નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. પરંતુ પાંચ દિવસ પહેલા તબિયત લથડતાં સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગત રાત્રે મૃત્યુ થયું હતું.