લીંબડી પાસે અકસ્માતમાં ઘવાયેલા ધારાસભ્ય ટીલાળાના પિતરાઇ ભાઇનું મોત
શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સહિતના મિત્રો આબુ જતા હતા ત્યારે છ દિવસ પૂર્વે અકસ્માત નડ્યો હતો
બપોરે નિવાસ સ્થાનેથી નીકળેલી અંતિમયાત્રામાં ભાજપ અગ્રણી સહિતના નેતાઓ જોડાયા
શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ અને ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના પિતરાઇ ભાઇ કિશોરભાઇ ટીલાળાને નડેલા અકસ્માતમાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ છે. કિશોરભાઇ સહિતના મિત્રો જન્માષ્ટમીની રજા નિમિત્તે આબુ જતા હતા ત્યારે લીમડી પાસે રસ્તામાં બાઇક ચાલકને બચાવવા જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં તેમના મિત્ર અશ્ર્વીનભાઇ માકડીયાનું મોત નીપજ્યું હતું.આ અકસ્માતમાં ઘવાયેલા ધારાસભ્ય ટીલાળાના પિતરાઇ ભાઇ અને શાપર ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશનના પ્રમુખ કીશોરભાઇ ટીલાળાનું આજે સારવાર દરમિયાન મોત થતા ભારે શોક વ્યાપી ગયો હતો. મૃતકની બપોરે તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં ઉદ્યોગપતિઓ, રાજકિય અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.
જન્માષ્ટમીના તહેવારનો રજા પડી ગઇ હોય જેથી નાગરીકો પ્રયટન સ્થળોએ ફરવા જતા હોય છે. ત્યારે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ અને ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના પિતરાઇ ભાઇ કિશોરભાઇ ટીલાળા તેમજ તેમના સાથી મિત્રો આબુ ખાતે આવેલ ઓમ શાંતિ આશ્રમ ખાતે જતા હતા. ત્યારે સાયલા નજીક પહોંચતા રસ્તા વચ્ચે બાઇક ચાલકને બચાવવા જતા કિશોરભાઇની ફ્ોર્ચ્યુનર કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કિશોરભાઇ તેમજ અશ્ર્વિનભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં અશ્ર્વિનભાઇ માકડીયાનું મોત નીપજ્યું હતું. રાજકોટથી પ્રખ્યાત ન્યુરો સર્જન ડો.સંજય ટીલાળા સહિતની ટીમ સુરેન્દ્રનગર ખાતે દોડી ગઇ હતી અને કિશોરભાઇને રાજકોટ સારવાર માટે લવાયા હતા. છ દિવસની ટૂંકી સારવાર દરમિયાન કિશોરભાઇનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા ભાજપ અગ્રણીઓ તથા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીજ વિસ્તારના કારખાનેદારો તથા તેમના મિત્રો અને સગા-સબંધીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. કિશોરભાઇની અંમિતયાત્રામાં રાજકિય અગ્રણીઓ તેમજ શાપરના ઉદ્યોગપતિઓ સહિતના આગેવાનો જોડાયા હતા.