કુંડલિયા કોલેજના પ્રોફેસરને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાવ કોલેજના પ્રોફેસરને મિત્રતાના દાવે લીધેલા રૂપિયાની ચૂકવણી માટે આપેલો ચેક પરત ફર્યો’તો
રાજકોટમાં મિત્ર પ્રોફેસરો વચ્ચે થયેલા નાણાકીય વ્યવહારમાં રાવ કોલેજના પ્રોફેસરને ઉછીની રકમ પરત ચૂકવવા આપેલો ચેક રીટર્ન થવાના કેસમાં અદાલતે કુંડલીયા કોલેજના પ્રોફેસરને એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર તરીકે ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત એવી છે કે, ટી.એન. રાવ કોલેજના પ્રોફેસર વિરલ નાથાભાઈ પીપળીયાએ મીનાબેન કુંડલીયા કોલેજના પ્રોફેસર રતીલાલ મનજીભાઈ ડોબરીયા પાસેથી રૂા. 9.85 લાખ મિત્રતાના સંબંધના દાવે 2016માં અઢી માસ માટે હાથ ઉછીના લીધા હતા. આ માટે પ્રોમીસરી નોટ લખી આપી હતી. જે રકમનો ચેક પણ આપ્યો હતો.
ત્યાર બાદ વિરલ પીપળીયાએ રકમ પૈકી રૂા. 7 લાખ ચુકવી આપ્યા હતા. જેથી રતિલાલ ડોબરીયાએ લેણા પેટેનો ચેક વિરલ પીપળીયાને પરત આપી દીધો હતો, તેની બાકી રહેતી રકમ રૂૂ. 2.85 લાખ ચુકવવા 2019માં આપેલો રતિલાલ ડોબરીયાએ બેંકમાં વટાવવા રજુ કરતાં ‘પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોઅર’ના શેરા સાથે પરત થયો હતો. જેથી એડવોકેટ અર્જુન એસ. પટેલ મારફતે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબની ફરીયાદ કોર્ટમાં દાખલ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરિયાદ પક્ષની રજુઆત, રજુ કરેલો દસ્તાવેજી પુરાવો, એપેક્સ કોર્ટના જજમેન્ટ વગેરે ઘ્યાને લઈને રાજકોટના 11મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપી વિરલ નાથાભાઈ પીપળીયાને એક વર્ષની સાદી કેદની સજા અને દિવસ-60માં વળતરના રૂા.2.85 લાખ ચુકવી દેવાનો હુકમ કર્યો છે. આ કામમાં ફરિયાદી વતી સિનિયર એડવોકેટ અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી અને ભાર્ગવ એ. પાનસુરીયા રોકાયા હતા.