હળવદમાં મંજૂરી વગર ખડકાતું મોલનું બાંધકામ
હળવદ શહેરની સરા ચોકડી પાસે આવેલી ચંદ્રપાર્ક સોસાયટીના ગેટ પાસે બનતા મોલના બાંધકામને લઈને સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. મોલના ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ચાર માળ સુધીનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે અને હજુ પણ પાંચમા માળનું બાંધકામ કરવાની કોશિશ કરાતા રહીશો દ્વારા વિરોધ નોંધાવી નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જેથી નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતા હાલ મોલનું બાંધકામ બંધ કરી દેવામાં આવ્યું છે. આ અંગે સોસાયટીના રહીશોએ જણાવ્યું કે, પોતાના મકાનની બાજુમાં મોટી બિલ્ડિંગ બનતા લોકોને ડર લાગી રહ્યો છે. સાથે જ મોલથી પાછળના મકાનના લોકોને મોટુ નુકસાન થઈ રહ્યું છે. નગરપાલિકામાં રજૂઆત કરતા નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું કે અમે મંજૂરી આપી નથી. અને મંજૂરી વિના મોલનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જોકે અમને ડર છે કે તેઓ પૈસા આપી મંજૂરી મેળવી લેશે. જોકે હાલ કામગીરી બંધ કરી દેવામાં આવી છે.